
- મુસ્લિમ રાષ્ટ્રીય મંચના કાર્યક્રમમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું વકતવ્ય
- દેશના પ્રત્યેક નાગરિકનું DNA એક છે: મોહન ભાગવત
- પૂજા કરવાની રીતને લઇને લોકો વચ્ચે ભેદ ન કરી શકાય
નવી દિલ્હી: મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા આયોજીત એક કાર્યક્રમને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) ના પ્રમુખ મોહન ભાગવતે સંબોધિત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, દરેક ભારતીયોનું ડીએનએ એક છે. ભલે તે કોઇપણ ધર્મના હોય. તેમણે લિંચિંગને લઇને કહ્યું કે તેમાં સામેલ લોકો હિંદુત્વની વિરુદ્વ છે.
કાર્યક્રમ દરમિયાન સંઘ પ્રમુખ મોહન ભાગવતે ઉમેર્યું હતું કે, હિન્દુ-મુસ્લિમ એકતા ભ્રામક છે, કારણ કે તે અલગ નહીં. પરંતુ એક છે. પૂજા કરવાની રીતને લઇને લોકો વચ્ચે ભેદ ન કરી શકાય. કેટલાક કામ એવા છે જે રાજનીતિ ન કરી શકે. રાજનીતિ લોકોને એક ના કરી શકે. રાજનીતિ લોકોને એક કરવાનું હથિયાર ના બની શકે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, તે સિદ્વ થઇ ચૂક્યું છે કે આપણે છેલ્લા 40,000 વર્ષોથી એક જ પૂર્વજોના વંશજ છીએ. ભારતના લોકોનું ડીએનએ એક જેવું છે. હિન્દુ અને મુસ્લિમ બે સમૂહ નથી, એક થવા માટે કંઇ નથી તે પહેલાથી એક સાથે છે.
લોકતંત્ર વિશે વાત કરતા મોહન ભાગવતે કહ્યું હતું કે, આપણે લોકતંત્રમાં રહેતા હોવાથી અહીંયા માત્ર હિંદુ કે માત્ર મુસ્લિમોનું પ્રભુત્વ ના હોઇ શકે. દેશમાં એકતા વગર વિકાસ સંભવ નથી. એકતોન આધાર રાષ્ટ્રવાદ હોવો જોઇએ.
કાર્યક્રમ દરમિયાન RSS પ્રમુખ મોહન ભાગવતે ડૉ. ખ્વાજા ઇફ્તિખાર અહમદ દ્વારા લખાયેલા એક પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું. ડૉ. ખ્વાજા અહમદે વૈચારિક સમન્વય-એક પહલ નામથી એક પુસ્તક લખ્યું છે. મુસ્લિમ રાષ્ટ્રીય મંચના આ કાર્યક્રમમાં અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.