
- TMCમાંથી ભાજપમાં જોડાયેલા મુકુલ રોય ફરીથી TMCમાં જોડાશે
- તેઓ પોતાના પુત્ર શુભ્રાંશુ રોય સાથે TMCમાં સામેલ થશે
- તેઓ આજે સાંજે મમતા બેનર્જીને મળશે
નવી દિલ્હી: પશ્વિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પરાજય બાદ અનેક નેતાઓ ભાજપ સાથેનો છેડો ફાડી રહ્યા છે. જો કે એક સમયે ટીએમસીમાં રહેલા અને ભાજપમાં જોડાયેલા રાજ્યના દિગ્ગજ નેતા અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોય ફરી TMCમાં જોડાવા જઇ રહ્યા છે.
TMCમાં જોડાવાના મુકુલ રોયના નિર્ણયથી ભાજપમાં હલચલ તેજ બની છે. આમ તો TMCમાંથી ભાજપમાં જોડાયેલા એક પછી એક નેતાઓ ફરીથી TMCમાં જવા ઇચ્છુક છે પરંતુ મુકુલ રોય તો ભાજપના ઉપાધ્યક્ષ પણ છે. તેઓ પોતાના પુત્ર શુભ્રાંશુ રોય સાથે ટીએમસીમાં સામેલ થશે. આમ ચૂંટણી બાદ ચાલી રહેલી અટકળો પૂર્ણ વિરામ તરફ છે.
ટીએમસીમાંથી ભાજપમાં ગયેલા પૂર્વ મંત્રી રાજીવ બેનરજી અને અન્ય કેટલાક ધારાસભ્યો પણ ફરી ટીએમસીમાં સામેલ થવાની અટકળો પણ તેજ બની છે. મુકુલ રોય પહેલા એવા નેતા હતા જે ટીએમસી છોડીને ભાજપમાં ગયા છે. હવે તેઓ ટીએમસીમાં સામેલ થવા જઈ રહેલા ભાજપના પહેલા નેતા છે.
કોલકાતામાં થયેલી ભાજપની બેઠકમાં પણ મુકુલ રોય નહોતા દેખાય અને ત્યારબાદ તેમની પાર્ટી છોડવાની અટકળો વધુ તેજ બની હતી. તાજેતરમાં જ્યારે મુકુલ રોયના પત્નીને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ત્યારે પણ મમતા બેનર્જી અને ટીએમસીના નેતા અભિષેક બેનર્જી હોસ્પિટલ પહોંચ્યા હતા.
મુકુલ રોયે ટીએમસી સાથે 2017માં છેડો ફાડ્યો એ પછી તેમણે ટીએમસીના ઘણા નેતાઓને ભાજપ જોઈન કરાવ્યુ હતુ. હાલમાં તેઓ નદિયા જિલ્લાના ધારાસભ્ય છે.