Site icon Revoi.in

કચ્છના માતાના મઢમાં 21મી સપ્ટેમ્બરે ઘટસ્થાપન સાથે નવરાત્રીનો પ્રારંભ થશે

Social Share

ભૂજઃ નવરાત્રીને હવે એક મહિનો બાકી છે. ત્યારે  કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ દેશદેવી માં આશાપુરા માતાજીના સ્થાનક માતાનામઢમાં અશ્વિન નવરાત્રીની ભવ્ય ઉજવણીની આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. માતાના મઢમાં નવરાત્રીનો પ્રારંભ 21 સપ્ટેમ્બર રવિવારે રાત્રે 8:30 કલાકે ઘટસ્થાપન સાથે થશે.

કચ્છમાં આશાપુરા માતાજીના સ્થાનક માતાનામઢમાં નવરાત્રી મહોત્સવનું વિશેષ મહાત્મ્ય છે. માત્ર જિલ્લાના કે રાજ્યના જ નહીં અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શન માટે આવતા હોય છે. નવરાત્રી પર્વને એક મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ દેશદેવી માં આશાપુરા માતાજીના સ્થાનક માતાનામઢમાં અશ્વિન નવરાત્રીની ભવ્ય ઉજવણીની આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. માતાના મઢમાં નવરાત્રીનો પ્રારંભ 21 સપ્ટેમ્બર રવિવારે રાત્રે 8:30 કલાકે ઘટસ્થાપન સાથે થશે. 22 સપ્ટેમ્બર સોમવારથી આસો સુદ એકમથી નવરાત્રી મહોત્સવની શરૂઆત થશે. 29 સપ્ટેમ્બરે સાંજે 7:30 કલાકે ગાદી પૂજન થશે. ત્યારબાદ 7:45 કલાકે જગદંબા પૂજન અને રાત્રે 8:15 કલાકે હોમ હવનની વિધિ યોજાશે. મોડી રાત્રે 12:30 કલાકે મઢ જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવા બીડું ઓમશે.30 સપ્ટેમ્બર મંગળવારે સવારે 8 કલાકે કચ્છ રાજ પરિવાર દ્વારા પતરી વિધિ કરવામાં આવશે. નવરાત્રી દરમિયાન હજારો ભાવિકો પદયાત્રા દ્વારા માતાજીના દર્શને આવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી શ્રાદ્ધ પક્ષના છેલ્લા ત્રણ-ચાર દિવસથી જ યાત્રિકોની આવન-જાવન શરૂ થઈ જાય છે. ભક્તોની સુવિધા માટે સ્થાનિક ગ્રામ પંચાયત અને વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જાગીર ટ્રસ્ટ દ્વારા 24 કલાક ભોજન પ્રસાદની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે. મોટી સંખ્યામાં ભાવિકોની આવક-જાવકને કારણે માતાનામઢમાં મીની મેળા જેવો માહોલ સર્જાય છે.

Exit mobile version