ઉત્તરભારતઃ અનેક શહેરોમાં જુમાની નમાજ બાદ લઘુમતી કોમના લોકોના દેખાવો, પથ્થરમારો અને આગચંપીના બનાવો
નવી દિલ્હીઃ નુપુર શર્માના વિવાદીત નિવેદન બાદ કાનપુરમાં લઘુમતી કોમના ટોળાએ ભારે પથ્થરમારો કર્યો હતો. દરમિયાન આજે શુક્રવારે પણ ઉત્તર ભારતમાં દિલ્હી, રાંચી અને પ્રયાગરાજ સહિતના શહેરોમાં જુમાની નમાજ બાદ મોટી સંખ્યામાં રસ્તાઓ ઉપર લઘુમતી કોમના લોકો ઉતરી આવ્યાં હતા. તેમજ વિરોધ પ્રદર્શન કર્યું હતું. અનેક શહેરોમાં દેખાવકારોએ પોલીસ ઉપર પથ્થરમારાની ઘટના બની હતી. જેથી પોલીસે બળપ્રયોગ કરીને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીની જામા મસ્જિદ, પશ્ચિમ બંગાળના કોલકત્તા, પ્રયાગરાજ, રાંચી, પટણા સહિતના અનેક શહેરોમાં જુમાની નમાજ બાદ મોટી સંખ્યામાં મુસ્લિમો રસ્તા ઉપર આવ્યાં હતા. એટલું જ નહીં દેખાવકારોએ રાંચી, કોલકત્તા, સહારનપુર, પ્રયાગરાજ સહિતના શહેરોમાં પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. જેથી નાસભાગ મચી ગઈ હતી. પથ્થર મારાની વિવિધ ઘટનાઓમાં અનેક પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયાં હતા. પોલીસે બળપ્રયોગ કરીને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યાં હતા. કોલકત્તામાં દેખાવકારોએ રસ્તા ઉપર ટાયર સળગાવીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ઉત્તરભારતના વિવિધ શહેરોમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો. તેમજ અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી હતી.
કાનપુરમાં 3 જૂને ફાટી નીકળેલી હિંસાને કારણે આ જુમા પર સમગ્ર યુપીમાં પોલીસ એલર્ટ બની હતી. કાનપુરથી લઈને કાશી, મથુરા, ગોરખપુર, મેરઠ, આગ્રા, ફિરોઝાબાદ, મુઝફ્ફરનગર, પશ્ચિમ અને પૂર્વ યુપીના તમામ શહેરોમાં પોલીસ મસ્જિદોની બહાર અને અશાંત વિસ્તારોમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ક્યાંક ડ્રોન કેમેરાની મદદથી સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. તો ક્યાંક પોલીસે ગલીઓમાં પેટ્રોલિંગ કર્યું હતું