1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપરલિક કૌભાંડમાં ભીનું સંકેલવાના પ્રયાસો સામે NSUIએ મચાવ્યો હંગામો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપરલિક કૌભાંડમાં ભીનું સંકેલવાના પ્રયાસો સામે NSUIએ મચાવ્યો હંગામો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપરલિક કૌભાંડમાં ભીનું સંકેલવાના પ્રયાસો સામે NSUIએ મચાવ્યો હંગામો

0
Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બહુચર્ચિત પેપરલિકકાંડમાં ભીનું સંકેલવાના યુનિ.ના સત્તાધિશોના કથિત પ્રયાસો સામે એનએસયુઆઈએ સખત વિરોધ કર્યો છે. પેપરલિકકાંડ મામલે હજુ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી નથી. એવો મુદ્દો ઉઠાવીને એનએસયુઆઈએ યુનિ.ના કૂલપતિના ચેમ્બરમાં બેસીને ધરણાં કર્યા હતા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં  બીબીએ અને બી.કોમ. સેમેસ્ટર-5ની પરીક્ષાના પેપર લીક થયાની ઘટનાને 35 દિવસ થવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી નહીં થતા વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈએ કુલપતિની ચેમ્બરમાં હંગામો મચાવ્યો હતો. પોલીસ ફરિયાદ ક્યારે દાખલ કરશે તેની લેખિતમાં ખાતરી ન આપે ત્યાં સુધી એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વીસી ચેમ્બરમાં જ બેસીને ધરણાં કર્યા હતા. ત્યારબાદ કુલપતિએ રજિસ્ટ્રારને બોલાવ્યા હતા, તેમજ પરીક્ષા નિયામકને પણ બોલાવ્યા હતા. પરંતુ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ કોણ નોંધાવે તે અંગે એકબીજાને ખો આપવામાં આવી હતી.

સૌરાષ્ટ્ર યુનિના કૂલપતિ  ડૉ. ભીમાણીએ  જણાવ્યું હતું કે, યુનિના રજિસ્ટ્રાર ફરિયાદી બનશે, જ્યારે રજિસ્ટ્રાર અમિત પારેખે કહ્યું હતું કે, પરીક્ષા નિયામકની જવાબદારી છે તેમણે ફરિયાદી બનવું જોઈએ અને પરીક્ષા નિયામક નિલેશ સોનીએ પેપર લીક કાંડમાં ફરિયાદી બનવાની ઘસીને ના પાડી દીધી હતી. ત્રણેય મુખ્ય સત્તાધીશોએ પેપર લીક કાંડમાં પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવા મુદ્દે એકબીજાને ખો આપી ગંભીર ઘટનાને રમત બનાવી દીધી હતી. વિદ્યાર્થી સંગઠનના ધરણાં બાદ અંતે ત્રણેય સત્તાધીશોએ તારીખ 18 નવેમ્બરના રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા લેખિત બાંહેધરી આપતા મામલો શાંત થયો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થી સંગઠને કુલપતિને  પેપરલિકકાંડ મામલે એફઆઇઆર દાખલ કરવાની રજુઆત કરતા , કુલપતિએ રજિસ્ટ્રારને બોલાવી તેમના પર જવાબદારી ઢોળી હતી, બાદમાં રજિસ્ટ્રારે પણ ફરિયાદી બનવાનો ઇનકાર કરી પરીક્ષા નિયામક ઉપર દોષનો ટોપલો ઢોળ્યો. અંતે પરીક્ષા નિયામકે પણ ફરિયાદી બનવા ના પાડી. અડધો કલાક ત્રણેય એકબીજાને ખો આપ્યા બાદ એફઆઇઆરની લેખિત બાંહેધરી આપી હતી. અગાઉ યુનિવર્સિટીએ કોમર્સ ફેકલ્ટી સિવાયના તમામ પ્રશ્નપત્ર ઓનલાઈન મોકલવાની જાહેરાત કરી હતી. કારણ કે કોમર્સમાં એકાઉન્ટના પેપર 14 પાનાનું હોવાથી ઓફલાઈન મોકલવા પડે તેમ હતા પરંતુ છેલ્લે લેવાયેલી પરીક્ષામાં કોમર્સ સિવાયની ફેકલ્ટીમાં પણ ઓનલાઈન પેપર મોકલવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ નિષ્ફળ રહ્યો હોય એમ 87 ટકા વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર ઓફલાઈન જ મોકલવામાં આવ્યા હતા જ્યારે માત્ર અમુક જ ફેકલ્ટીમાં ઓનલાઈન પેપર મોકલાયા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code