
ગુજરાતની મેડિકલ કોલેજોમાં હવે ઓફલાઇન શિક્ષણ શરૂ કરાશેઃ સરકારે કોલેજના ડીનને લખ્યો પત્ર
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. હવે નહીંવત્ કેસ નોંધાઈ રહ્યા છે, ત્યારે સરકારે નિયંત્રણોમાં ઘણીબધી છૂટ આપી છે. શાળા-કોલેજોમાં પણ ઓનલાઈન શિક્ષણ શરૂ થઈ ગયુ છે. શાળા સંચાલકો ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની માગ કરી રહ્યા છે. રાજ્યના તબીબી શિક્ષણ કમિશનરે તમામ મેડિકલ કોલેજોના ડીનને ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટે પત્ર લખ્યો છે. મેડિકલના વિદ્યાર્થીઓએ વેક્સિન લીધી હોવાથી હવે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે.
તબીબી શિક્ષણ કમિશનરે મેડિકલ કોલેજોના ડીનને લખેલા પત્રમાં જણાવ્યું છે કે રાજ્યના તમામ અભ્યાસક્રમો ઓનલાઈન ચલાવવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ હાલમાં પ્રેક્ટિકલ તથા કોવિડ ડ્યૂટીમાં સંકળાયેલા છે. માત્ર ટીચિંગ જ ઓનલાઈન થાય છે. મેડિકલ, ડેન્ટલ, ફિઝિયોથેરપી,નર્સિંગ, ઓપ્ટોમેટ્રીના અભ્યાસક્રમોના મોટા ભાગના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ વેક્સિનેટેડ થઈ ગયા છે તથા વિદ્યાર્થીઓને વેક્સિન લેવાની બાકી હોય તે તમામને વેક્સિનેટ કરવાની કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. ટીચિંગની ગુણવત્તા જળવાઈ રહે એ હેતુથી તમામ તકેદારી સાથે મેડિકલ, ડેન્ટલ, ફિઝિયોથેરપી, નર્સિંગ, ઓપ્ટોમેટ્રીના UG તથા PGના વિદ્યાર્થીઓને ઓફ્લાઈન શિક્ષણ તાત્કાલિક અસરથી શરૂ કરવા જણાવવામાં આવ્યું છે.
રાજ્યમાં સામાન્યના વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે દર વર્ષે GCAT પરીક્ષા યોજાય છે અને આ વર્ષે તો માસ પ્રમોશનને કારણે જો પ્રવેશ પરીક્ષા સિવાય બારોબાર પ્રવેશ આપવો અઘરો છે, જેથી સારી ગુણવતાના વિદ્યાર્થીઓ જો આ કોર્સમાં આવે તો પ્રવેશ પરીક્ષા લેવી પડે એવી છે. સામાન્ય રીતે એન્જિનિયરિંગમાં 40 ટકા ઉપરના વિદ્યાર્થીઓને પ્રવેશપાત્ર ગણે છે અને તમામને એડમિશન આપવું એ અભ્યાસની ગુણવત્તા બગાડવા જેવું હશે. GTUનું માનવું છે કે પ્રવેશ પરીક્ષા હોવી જોઈએ, પછી એ ઓનલાઈન હોય કે ઓફલાઈન એ મહત્ત્વનું નથી તો હજુ રાજ્ય સરકારે GCAT અંગે પણ નિર્ણય લેવાનો છે અને જ્યાં સુધી આ નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી પ્રવેશ પદ્ધતિ નક્કી થઈ શકે એમ નથી.