ચોટિલાથી દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારની કારનો બાવળા પાસે અકસ્માત સર્જાતા અકનું મોત
અમદાવાદઃ રાજકોટ- અમદાવાદ હાઈવે પર પુરફાટ ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. વધુ એક કારનો અકસ્માક સર્જાયો હતો. ચોટીલા દર્શન કરી પરત ફરતા પરિવારની કાર બાવળા નજીક પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય છ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. જેથી તેઓને તાકીદે લોહિલૂહાણ હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં.
આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે કે, રાજકોટના ધમલપર ગામે રહેતા મંજુબેન જયંતિભાઈ જખાણીયા (ઉ.વર્ષ- 40) તેના પતિ જેન્તીભાઈ અજમલભાઈ જખાણીયા (ઉ. વર્ષ-45), જેન્તીભાઈના સસરા ખીમાભાઈ ધરમશીભાઈ સોલંકી (ઉ. વર્ષ-55), સાસુ લીલુબેન ખીમાભાઈ સોલંકી (ઉ.વર્ષ-53), સાળો અજય ખીમાભાઈ સોલંકી (ઉ.વર્ષ-30) તથા અમદાવાદ રહેતા સાઢુ અજય અજમલભાઈ (ઉ.વર્ષ-40) અને સાળી શોભનાબેન અજયભાઈ (ઉ.વર્ષ-38) ધમલપર ગામથી ચોટીલા દર્શન કરી અમદાવાદ જઈ રહ્યાં હતા. દરમિયાન બાવળાના જાંગોદર ગામ નજીક પહોંચતા કાર ચાલકે અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું જ્યારે 6 લોકોને ઈજા પહોંચી હતી. જેથી ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા ધમલપરના મંજુબેન જયંતિભાઈ જખાણીયાની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મંજુબેન જખાણીયાએ હોસ્પિટલનાં બિછાને દમ તોડી દેતા પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, મૃતક મંજુબેન જખાણીયાને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. ધમલપર ગામથી પરિવાર ચોટીલા દર્શન કરવા ગયો હતો. ચોટીલા દર્શન કરી પરિવાર અમદાવાદ અજયભાઈ અજમલભાઈના ઘરે જતાં હતાં ત્યારે કાર પલ્ટી જતાં અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.