ગાંધીનગર, 15 ઓગસ્ટ 2026 : 17 lighthouses developed for tourism વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા દેશના ઐતિહાસિક અને સ્થાપત્યની દૃષ્ટિએ મહત્વપૂર્ણ લાઇટહાઉસ (દીવાદાંડી)ને પ્રવાસન, સંસ્કૃતિ અને દરિયાઈ વારસાના જીવંત કેન્દ્રો તરીકે વિકસાવવાની પહેલ હાથ ધરવામાં આવી છે. દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતા ગુજરાતમાં મેરિટાઈમ ટુરિઝમની અપાર સંભાવનાઓ રહેલી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં આ પહેલને વેગ મળ્યો છે અને રાજ્યની 17 દીવાદાંડીઓને આધુનિક પ્રવાસન સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે.
દરિયાઈ નેવિગેશનમાં મદદ કરનારી દીવાદાંડીઓ હવે પ્રવાસીઓ માટે બનશે આકર્ષણનું કેન્દ્ર
પરંપરાગત રીતે જહાજો માટે માર્ગદર્શક તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી દીવાદાંડીઓ હવે ઇતિહાસ, ટેક્નોલૉજી, સંસ્કૃતિ અને પ્રવાસનના અનોખા સંગમ તરીકે પ્રવાસીઓને આકર્ષવા માટે સજ્જ બની છે. ગુજરાતના માંડવી, રાવલપીર, સમિયાણી, ઓખા, કચ્છીગઢ, પોરબંદર, માંગરોળ, જાફરાબાદ, જેગ્રી, અલંગ, ઘોઘા, હજીરા, વલસાડ ખાડી, ગોપનાથ, વેરાવળ, દ્વારકા અને ઉમરગામ ખાતે આવેલ લાઇટહાઉસને આધુનિક પ્રવાસન સુવિધાઓ સાથે વિકસિત કરવામાં આવ્યા છે. અહીં પ્રવાસીઓ માટે કૅફેટેરિયા, સુશોભિત બગીચા, ગઝિબો, બાળકો માટે રમતગમતની સુવિધા, ઍમ્ફિથિયેટર, લાઇટ ઍન્ડ સાઉન્ડ શો, લિફ્ટ તેમજ જાહેર સુવિધાઓ વિકસાવવામાં આવી છે. 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવતા ગુજરાતમાં આ પહેલ રાજ્યના દરિયાઈ વારસાને પ્રવાસન સાથે જોડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. દીવાદાંડીઓ ખાતે વિકસાવવામાં આવેલી વિવિધ સુવિધાઓના કારણે પ્રવાસીઓને મનોરંજન સાથે શૈક્ષણિક અનુભવ પણ પ્રાપ્ત થશે.
ઉલ્લેખનીય છે કે, મરીન એઇડ્સ ટુ નેવિગેશન ઍક્ટ, 2021ની કલમ 23 હેઠળ ભારતના દરિયાઈ વારસાના સંરક્ષણની સાથે શૈક્ષણિક, સાંસ્કૃતિક અને પ્રવાસન હેતુઓને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી કેન્દ્ર સરકાર લાઇટહાઉસ ટુરિઝમને પ્રોત્સાહન આપી રહી છે. આ અંતર્ગત દેશભરમાં 75 લાઇટહાઉસને પ્રવાસન સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં લાઇટહાઉસ ટુરિઝમને વધુ આકર્ષક બનાવવા માટે દ્વારકા અને ગોપનાથ ખાતે લાઇટહાઉસ મ્યુઝિયમની પણ સ્થાપના કરવામાં આવી છે. આ મ્યુઝિયમમાં લાઇટહાઉસ ટેક્નોલૉજીમાં આવેલ પરિવર્તન અને ભારતના મેરિટાઇમ વારસાની ગાથા રજૂ કરવામાં આવે છે. આ પહેલ પ્રવાસનને વેગ આપવાની સાથે નવી પેઢીને ભારતના દરિયાઈ ઇતિહાસ, મેરિટાઇમ નેવિગેશન અને દીવાદાંડીની ટેક્નોલૉજીથી પરિચિત કરાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

