દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાના નિવાસસ્થાને ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લેનારા ભારતીય એથેલેટ્સના દળનો સત્કાર કાર્યક્રમ યોજ્યો હતો. આ દળમાં પેરા-એથલેટ્સ ઉપરાંત કોચ પણ સામેલ હતા. વડાપ્રધાને સમગ્ર દળ સાથે નિખાલસ અને અનૌપચારિક સંવાદ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેમણે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ નોંધપાત્ર પ્રમાણમાં દેશમાં સમગ્ર રમતગમત સમુદાયના મનોબળમાં વધારો કરશે અને તેમના સાથી રમતવીરો પણ રમતોને વધુ આગળ લાવવા માટે પ્રોત્સાહિત હોવાનો અહેસાસ કરશે. ખેલાડીઓના પ્રદર્શનના કારણે લોકોમાં કુદકેને ભૂસકે રમતો અંગેની જાગૃતિમાં વધારો થયો છે.
પેરા-એથલેટ્સે તેમના જીવનમાં આવતા કઠીન અવરોધોમાંથી બહાર આવીને જે પ્રકારે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે ખરેખરમાં ખૂબ જ પ્રશંસનીય છે. સાચા ખેલાડી ક્યારેય કોઇ રમતમાં પરાજય મળે તેનાથી માનસિક રીતે તુટી જતા નથી પરંતુ આવી સ્થિતિ પછી તેઓ ફરી વધુ જુસ્સા સાથે આગળ વધે છે. તેઓ દેશના એમ્બેસેડર્સ છે અને તેમણે પોતાના નોંધનીય પ્રદર્શન દ્વારા વૈશ્વિક મંચ પર રાષ્ટ્રની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પેરા-એથલિટ્સે તેમની ‘તપસ્યા, પુરુષાર્થ અને પરાક્રમ’ દ્વારા લોકોનો તેમના પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલી નાંખ્યો છે. આઝાદીના અમૃત મહોત્સવ’ની ઉજવણીના આ સમયગાળા દરમિયાન, તેમણે રમતની દુનિયાની બહારના ક્ષેત્રોને પણ પારખવા જોઇએ અને કેવી રીતે તેઓ લોકોને પ્રોત્સાહન આપી શકે તેમજ પરિવર્તન લાવવામાં મદદ કરી શકે તેના પર અન્વેષણ કરવું જોઇએ. તેમની સાથે એક જ ટેબલ પર બેસવાની તક મળી એ જ પોતાની રીતે એક મોટી સિદ્ધિ છે. કેટલાક ખેલાડીઓએ જેની મદદથી પોતે ચંદ્રક જીત્યા હતા તે રમતના સાધનો પર સહી કરીને વડાપ્રધાને ભેટમાં આપ્યા હતા. તમામ ચંદ્રક વિજેતા ખેલાડીઓની સહી સાથેનો એક ખેસ પણ વડાપ્રધાને ભેટમાં આપવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ તમામ રમતના સાધનોની હરાજી કરવામાં આવશે અને તેમના આ નિર્ણયને એથેલેટ્સે આવકાર્યો હતો.