Site icon Revoi.in

પાકિસ્તાન હવે ચીનના બદલે અમેરિકા પાસે હથિયારો મામલે મદદ માંગવાની ફિરાકમાં

Social Share

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને તેની ભાષામાં જ જવાબ આપ્યો છે. પાકિસ્તાનને ભારત ઉપર હુમલા કરવા માટે ચીની હથિયારોનો ઉપયોગ કર્યો હતો. જો કે, ભારતીય સેનાએ પાકિસ્તાનના તમામ હથિયારોને મ્હાત આપી હતી. ઓપરેશન સિંદૂરમાં હાર બાદ હવે પાકિસ્તાન હથિયારો માટે અમેરિકા તરફ નજર રાખી રહ્યું છે. આમ હવે ચીનને બદલે પાકિસ્તાન અમેરિકા પાસેથી સૈન્ય સહયોગની આશા રાખી રહ્યું છે.

પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેના લશ્કરી સંબંધો ફરી મજબુત થઈ રહ્યાં છે. ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની તાજેતરની અમેરિકા મુલાકાત પછી, હવે પાકિસ્તાન વાયુસેનાના વડા એર ચીફ માર્શલ ઝહીર અહેમદ બાબર સિદ્ધુએ પણ અમેરિકાની સત્તાવાર મુલાકાત લીધી છે. છેલ્લા દાયકામાં આ પહેલી વાર છે જ્યારે પાકિસ્તાન વાયુસેનાના કોઈ વડાએ અમેરિકાની મુલાકાત લીધી છે. પાકિસ્તાન વાયુસેના દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ મુલાકાત બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને વધુ ગાઢ બનાવવા અને વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા તરફ એક મોટું પગલું છે. આ મુલાકાત દરમિયાન પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

તેમના યુએસ રોકાણ દરમિયાન, વાયુસેનાના વડા સિદ્ધુએ પેન્ટાગોનની મુલાકાત લીધી અને યુએસ વાયુસેનાના આંતરરાષ્ટ્રીય બાબતોના સચિવ કેલી એલ. સેબોલ્ટ અને યુએસ વાયુસેનાના ચીફ ઓફ સ્ટાફ જનરલ ડેવિડ ડબલ્યુ. એલ્વિનને મળ્યા હતા. PAF ના નિવેદન અનુસાર, બંને પક્ષો દ્વિપક્ષીય લશ્કરી સહયોગ, સંયુક્ત તાલીમ કાર્યક્રમો, સંરક્ષણ ટેકનોલોજી શેર કરવા અને સંસ્થાકીય સંવાદને મજબૂત કરવા સંમત થયા હતા.

ઓપરેશન સિંદૂર દરમિયાન, ભારતે પાકિસ્તાનના અનેક મહત્વપૂર્ણ લશ્કરી સ્થાપનોને નિશાન બનાવ્યા હતા. આમાં ચીનના હવાઈ સંરક્ષણ પ્રણાલી, રડાર અને ફાઇટર જેટનો સમાવેશ થતો હતો, જેને ભારતીય હુમલામાં ભારે નુકસાન થયું હતું. હવે પાકિસ્તાન તરફથી એવા સંકેત મળી રહ્યા છે કે તે ચીનને બદલે અમેરિકા સાથે સંરક્ષણ સહયોગ વધારવા માંગે છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફના સલાહકાર રાણા સનાઉલ્લાહે એક મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે જ્યારે ભારતે બ્રહ્મોસ મિસાઇલ છોડી ત્યારે પાકિસ્તાન પાસે જવાબ આપવા માટે માત્ર 30 થી 35 સેકન્ડનો સમય હતો.

પાકિસ્તાન હવે અમેરિકા પાસેથી F-16 બ્લોક 70 ફાઇટર જેટ, હવાઈ સંરક્ષણ પ્રણાલી અને HIMARS જેવા અદ્યતન શસ્ત્ર પ્લેટફોર્મ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો આ માહિતી સાચી હોય, તો તેનો અર્થ એ છે કે પાકિસ્તાન હવે ચીની શસ્ત્રોની ક્ષમતા પર વિશ્વાસ કરતું નથી. ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર ચીનનું મૌન પણ આ બદલાયેલા વલણ તરફ ઈશારો કરે છે. 30 મેના રોજ, જ્યારે એક પ્રેસ કોન્ફરન્સમાં પૂછવામાં આવ્યું ત્યારે, ચીની સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઝાંગ ઝિયાઓગાંગે પાકિસ્તાનના શસ્ત્રોની અસરકારકતા પર કોઈ નિવેદન આપવાનો ઇનકાર કર્યો હતો.

ભારતીય હુમલામાં પાકિસ્તાન દ્વારા ઉપયોગમાં લેવાતા ઘણા શસ્ત્રો ચીની ટેકનોલોજી પર આધારિત હતા. જ્યારે ચીનના સંરક્ષણ મંત્રાલયને આ શસ્ત્રોના નબળા પ્રદર્શન વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેના પ્રવક્તા ઝાંગ ઝિયાઓગાંગે સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું અને ફક્ત એટલું જ કહ્યું કે, “પાકિસ્તાનને ચીનની હવાઈ સંરક્ષણ અને ઉપગ્રહ પ્રણાલીઓથી મદદ મળી હતી, પરંતુ તેમનું પ્રદર્શન સરેરાશથી ઓછું હતું.” તેમણે વધુમાં કહ્યું, “અમે પુનરાવર્તન કરવા માંગીએ છીએ કે ભારત અને પાકિસ્તાન એવા પડોશી દેશો છે જેમને બદલી શકાતા નથી. અમને આશા છે કે બંને દેશો પરિસ્થિતિને વધુ જટિલ બનતી અટકાવવા માટે સંયમ અને શાંતિ જાળવી રાખશે.”

Exit mobile version