પાકિસ્તાન કોઈ અયોગ્ય હરકત કરી શકે છેઃ રાજનાથસિંહ
નવી દિલ્હી, 2 એપ્રિલ 2026: કેરલમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. દરમિયાન રક્ષામંત્રી રાજનાથસિંહએ કેરલમાં એક જનસભાને સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતનો પડોશી દેશ કોઈ ખોટી હરકત કરી શકે છે. જો કે, રાજનાશસિંહે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે, જો એવુ કંઈ થયું તો ભારતની પ્રતિક્રિયા જોરદાર અને નિર્ણાયક હશે. હાલ ઓપરેશન સિંદૂર ચાલુ જ છે.
તેમણે વધુમાં જમાવ્યું હતું કે, ભારતીય નેવી આપણા ઓઈલ ટેન્કરોને હોર્મુઝ સ્ટ્રેટથી સુરક્ષિત રીતે બહાર નીકાળી રહ્યું છે. ભારતીય સેના પૂર્ણ રીતે સાબદી છે. ભારત મિડલ ઈસ્ટની પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યું છે. ત્યાં જે પણ પરિસ્થિતિ ઉભી થશે તેના નિકાલ માટે ભારત પૂરી રીતે તૈયાર છે. બીજી તરફ દેશમાં પેટ્રોલ, ડિઝલ અને ગેસની કોઈ અછત નથી. ભારત કોઈ પણ ઉર્જા સંક્ટનો સામનો કરવા માટે પણ તૈયાર છે. રાજનાથ સિંહે વિપક્ષ ઉપર પણ આકરા પ્રહાર કર્યાં હતા.
રાજનાથસિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, તેઓ કુટનીતિક કૌશલથી ભારતના હિતોનુ રક્ષણ કરી રહ્યાં છે. ઈરાને કેટલાક ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજુરી આપી છે. એટલું જ નહીં ઈરાને ભારતીય જનતા દ્વારા કરવામાં આવતા સમર્થનની પણ પ્રશંસા કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત ક્યારે હથિયારોની આયાત કરતુ હતું, પરંતુ હવે સમય બદલાયો છે અને હવે હથિયારોની નિકાસ કરવામાં આવી રહી છે. વર્ષ 2014માં ભારતનું ડીફેન્સ એક્સપોર્ટ લગભગ 600 કરોડ રૂપિયા હતું. જે વધીને આજે 38500 કરોડ સુધી પહોંચ્યું છે. ગત વર્ષની સરખામણીમાં 2025-20માં ભારતના ડિફેન્સ એક્સપોર્ટમાં 62.66 ટકાનો રેકોર્ડબ્રેક વધારો થયો છે.


