પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA) ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે, કારણ કે એરક્રાફ્ટ એન્જિનિયર્સે ફ્લાઇટ્સ માટે “એરવર્ધિનેસ ક્લિયરન્સ” (વિમાન ઉડાન માટે યોગ્ય છે તે અંગેનું પ્રમાણપત્ર) આપવાનું બંધ કરી દીધું છે. પરિણામે, સોમવાર રાત્રે 8 વાગ્યા બાદથી PIAની કોઈ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રવાના થઈ નથી. આ કારણે ઉમરાહ યાત્રીઓ સહિત સેંકડો મુસાફરો ઇસ્લામાબાદ, કરાચી અને લાહોર જેવા મુખ્ય એરપોર્ટ્સ પર ફસાઈ ગયા હતા. અત્યાર સુધીમાં ઓછામાં ઓછી 12 નિર્ધારિત ઉડાનો પર અસર પડી છે.
સોસાયટી ઓફ એરક્રાફ્ટ એન્જિનિયર્સ ઓફ પાકિસ્તાન (SAEP)એ જાહેરાત કરી છે કે એરલાઇનના CEO પોતાનું વલણ ન બદલે ત્યાં સુધી સભ્યો કામ પર નહીં ફરે. યુનિયનનો આરોપ છે કે મેનેજમેન્ટ છેલ્લા બે મહિનાથી તેમની ફરિયાદોને અવગણી રહ્યું છે. એન્જિનિયર્સને છેલ્લા આઠ વર્ષથી પગાર વધારો મળ્યો નથી અને સ્પેરપાર્ટ્સની અછત વચ્ચે પણ ફ્લાઇટ્સ ક્લિયર કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. યુનિયને સ્પષ્ટ જણાવ્યું કે “મુસાફરોની સુરક્ષા જોખમમાં મૂકી કોઈ પણ દબાણ સ્વીકાર્ય નથી.”
PIAના CEOએ આ હડતાળને ગેરકાયદેસર ગણાવી છે અને જણાવ્યું કે, તે પાકિસ્તાન એસેન્શિયલ સર્વિસિસ એક્ટ, 1952નું ઉલ્લંઘન છે. તેમણે આક્ષેપ કર્યો કે હડતાળનો હેતુ એરલાઇનના ચાલી રહેલા ખાનગીકરણ પ્રક્રિયાને અડચણમાં મૂકવાનો છે. એરલાઇન મેનેજમેન્ટે ફ્લાઇટ ઓપરેશન્સ ફરી શરૂ કરવા માટે અન્ય એરલાઇન કંપનીઓ પાસેથી એન્જિનિયરિંગ સપોર્ટ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.

