સિંધુ જળ સંધિ મામલે પાકિસ્તાને ફરી ચિઠ્ઠી લખીને ભારતને કરી ખાસ વિનંતી
નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી 2026: પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ વધારે તંગ બન્યાં છે. આતંકવાદના મુદ્દે ભારતની સામે આકરી કાર્યવાહી કરીને સિંધુ જળ સંધિને રદ્દ કરી હતી. આ નિર્ણયનો પાકિસ્તાને વિરોધ કર્યો હતો. દરમિયાન હવે પાકિસ્તાને ભારત સરકારને પત્ર લખ્યો હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાનના જણાવ્યા અનુસાર ભારતને ચિઠ્ઠી લખીને ચેનાબ નદી ઉપર સ્વાલકોટ હાઈડ્રોઈલેક્ટ્રીક પ્રોજેક્ટ અંગે જાણકારી માંગવામાં આવી છે.
પાકિસ્તાનના વિદેશ ઓફિસના પ્રવક્તા તાહિર અંદ્રાબીએ જણાવ્યું હતું કે, ચેનાબ નદી પર સ્વાલકોટ પોજેક્ટનો મુદ્દો સિંધુ જળ કમિશ્નરના લેવલે ઉઠાવવામાં આવ્યો છે અને પાકિસ્તાનના સિંધુ જળ કમિશ્નરે ગયા વર્ષે જુલાઈમાં પણ એક ચિઠ્ઠી લખી હતી. અંદ્રાબીએ જણાવ્યું હતું કે, ભારતીય સિંધુ જળ કમિશ્નરને વધુ એક ચિઠ્ઠી લખવામાં આવી છે. આ સ્વાલકોટ પ્રોજેક્ટ પર જાણકારી અને સલાહ સંબંધિત છે જે 1996ના સિંધુ જળ સંધિ હેઠળ જરુરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોઈ પણ એકતરફી કાર્યવાહી કે નિર્ણય આ કાનૂની હકીકતને બદલી શકતી નથી. અમે વાતચીત અને આંતરરાષ્ટ્રીય સ્તરના કાનૂન અનુસાર ભારત સાથે વિવાદો અને મુદ્દાઓને શાંતિથી ઉકેલવા માટે તૈયાર છીએ. ક્રિકેટ મામલે ભારત ઉપર આક્ષેપ કરતા તેમણે જણાવ્યું હતું કે, ક્રિકેટને હથિયાર બનાવવુ અને તેમાં રાજકારણ કરવુ ચિંતાજનક છે.
પીઓકેને ભારતનો હિસ્સો દર્શાવવાના અમેરિકાના નિર્ણય ઉપર પૂછાયેલા સવાલ ઉપર તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાને આ અંગે અમેરિકી અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. તેમણે તાત્કાલિક તેમની ભૂલ સુધારી હતી.
(PHOTO-FILE)
આ પણ વાંચોઃ બેંગલુરુ: કાર, ટ્રક અને બાઈક વચ્ચેની ટ્રિપલ અકસ્માતમાં સાતના મોત


