ગાંધીનગર, 16 ફેબ્રુઆરી 2026: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના આજે પ્રથમ દિવસે રાજ્યપાલના સંબોધન બાદ દિવંગત પૂર્વ ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ અપવામાં આવી હતી, ત્યારબાદ વિધાનસભાના ઉપાધ્યક્ષપદ માટે ચૂંટણી યોજવામાં આવી હતી. ભાજપ દ્વારા સુરત પશ્વિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. જ્યારે કોંગ્રેસ દ્વારા દાણીલીંમડાના ધારાસભ્ય શૈલેષ પરમારને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. ઉપાધ્યક્ષપદની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ ભાગ લીધો ન હતો, અને ભાજપ પાસે પ્રચંડ બહુમતીને લીધે પૂર્ણેશ મોદીનો ધ્વની મતથી વિજયી થયો હતો.
ગુજરાત વિધાનસભામાં આજે બજેટ સત્રના પ્રથમ દિવસે લોકશાહીના મંદિરમાં રાજકીય પારો ચરમસીમાએ જોવા મળ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે સત્રનો પ્રારંભ થયો હતો. પરંતુ કોંગ્રેસના ધારાસભ્યોએ ખેડૂતોના દેવા માફી અને કાયમી ભરતી જેવા મુદ્દે એટલો હોબાળો કર્યો કે રાજ્યપાલે પોતાનું ભાષણ માત્ર 20 મિનિટમાં આટોપી લેવું પડ્યું હતું. રાજ્યપાલના સંબોધન બાદ વિધાનસભાના ઉપાધ્યક્ષપદ માટેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભાજપ તરફથી જીતુ વાઘાણીએ પૂર્ણેશ મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. ધ્વનિ મત (Voice Vote) થી થયેલા મતદાનમાં પૂર્ણેશ મોદીને સ્પષ્ટ બહુમતી મળી હતી. તેમની જીત થતા જ ભાજપના સભ્યોએ ‘જય શ્રી રામ’ના નારા સાથે ગૃહ ગજવી દીધું હતું.
કોંગ્રેસે શૈલેષ પરમારને ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા. કોંગ્રેસનો તર્ક હતો કે, સંસદીય પરંપરા મુજબ ઉપાધ્યક્ષનું પદ વિપક્ષને મળવું જોઈએ. બીજી તરફ, શૈલેષ પરમારનો પણ આક્ષેપ હતો કે, ભાજપે બહુમતીના જોરે વિપક્ષને ઉપાધ્યક્ષ પદ આપવાની પરંપરા તોડી છે.
વિધાનસભાના ઉપાધ્યક્ષપદની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ અંતર જાળવ્યું હતું. આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું હતું કે, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષની હાર-જીત પહેલેથી જ નક્કી હતી. કોંગ્રેસમાં ક્રોસ વોટિંગની આશંકા હતી અને તેથી ‘આપ’ મતદાનમાં જોડાયું નહોતું. આ પહેલા ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, અમે ઉપાધ્યક્ષની ચૂંટણી માટે નોટાની માગણી કરી હતી કારણ કે અમારે ચૂંટણીમાં કોઈને પણ મત આપવાનો ન હતો.

