જમીન વિવાદોના નિકાલ માટે રેવન્યુ જ્યુડિશિયલ સર્વિસની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી
નવી દિલ્હી, 31 માર્ચ 2026: ભારતમાં જમીન સંબંધિત વિવાદોના ઝડપી અને સચોટ નિકાલ માટે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં માંગ કરવામાં આવી છે કે, જમીનના કેસો ચલાવવા માટે ખાસ ‘રેવન્યુ જ્યુડિશિયલ સર્વિસ’ની સ્થાપના કરવામાં આવે.
એક વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં દલીલ કરવામાં આવી છે કે, દેશના આશરે 66 ટકા સિવિલ કેસો જમીન વિવાદો સાથે જોડાયેલા છે. હાલમાં આ કેસોનો નિકાલ એવા મહેસૂલ અધિકારીઓ કરે છે જેમની પાસે કોઈ ઔપચારિક કાયદાકીય શિક્ષણ કે ન્યાયિક તાલીમ હોતી નથી. કાયદાકીય પૃષ્ઠભૂમિના અભાવે લેવાયેલા નિર્ણયો ઘણીવાર ભૂલભરેલા અને મનસ્વી હોય છે, જેના કારણે નાગરિકોના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન થાય છે.
અરજીમાં માંગણી કરાઈ છે કે હાઈકોર્ટના પરામર્શથી મહેસૂલ અધિકારીઓ માટે ન્યૂનતમ કાયદાકીય લાયકાત અને ટ્રેનિંગ મોડ્યુલ નક્કી કરવામાં આવે. આ વ્યવસ્થાથી મિલકતના અધિકારોમાં રહેલી અનિશ્ચિતતા દૂર થશે અને વર્ષો સુધી ચાલતા મુકદ્દમાઓમાંથી જનતાને મુક્તિ મળશે. સુપ્રીમ કોર્ટ આ મામલે 2 એપ્રિલના રોજ સુનાવણી હાથ ધરી શકે છે.
આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: લાંબા સમય સુધી કામ કરનાર કર્મચારી કાયમી ગણાશે, છૂટા કરી શકાશે નહીં


