પીલીભીત લોકસભા બેઠક: 3 દશકથી મેનકા-વરુણ ગાંધી કરે છે પ્રતિનિધિત્વ, મુસ્લિમ વોટર્સનો ખાસ્સો દબદબો
ઉત્તરપ્રદેશની પીલીભીત લોકસભા બેઠક ઉત્તરપ્રદેશમાં ઉત્તરાખંડ સીમા પાસે છે. આ બેઠક પર ગત ત્રણ દાયકાથી સંજય ગાંધીના ફેમિલીનો કબજો છે. સંજય ગાંધીના પત્ની મેનકા ગાંધી 6 વખત પીલીભીત લોકસભા બેઠક પરથી સાંસદ બન્યા છે. જ્યારે તેમના પુત્ર વરુણ ગાંધી 2 વખત સાંસદ બન્યા છે. ગત 20 વર્ષોતી મેનકા ગાંધી ભાજપની રાજનીતિ કરી રહ્યા છે. દેશની લોકસભાની પહેલી ચૂંટણીને બાદ કરતા એના પછીની ત્રણ ચૂંટણીમાં આ બેઠક પ્રજા સોશલિસ્ટ પાર્ટીને જીત મળી હતી.
ઉમેદવાર કોણ-
ઉત્તરપ્રદેશમાં ઈન્ડિયા ગઠબંધન અને એનડીએની વચ્ચે મુકાબલો છે. બહુજન સમાજ પાર્ટી પણ એકલાહાથે મેદાનમાં દમ દેખાડી રહી છે. જો કે હજી સુધી એનડીએ અને ઈન્ડિયા ગઠબંધને પોતાના ઉમેદવારોને ઘોષિત કર્યા નથી. બીએસપીએ આ બેઠક પરથી પૂર્વ મંત્રી અનીસ અહમદ ખાનને ઉમેદવાર બનાવ્યા છે.
2019ની ચૂંટણીમાં વરુણ ગાંધીને મળી હતી જીત –
2019ની લોકસભાની ચૂંટણીમાં પીલીભીત લોકસભા બેઠક પર ભાજપ અને સમાજવાદી પાર્ટીની વચ્ચે મુકાબલો હતો. ભાજપના ઉમેદવાર વરુણ ગાંધી ત્રણ લાખથી વધુ મતોની સરસાઈથી સમાજવાદી પાર્ટીના ઉમેદવારને હરાવીને ચૂંટણી જીત્યા હતા. વરુણ ગાંધીને 7 લાખ 4 હજાર 549 વોટ મળ્યા હતા, જ્યારે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર હેમરાજ વર્માને 4 લાખ 48 હજાર 922 વોટ મળ્યા હા.
3 દશકથી સંજય ગાંધી ફેમિલીનું પ્રતિનિધિત્વ-
પીલીભીત લોકસભા બેઠક પર ગત ત્રણ દશકથી સંજય ગાંધીના પત્ની મેનકા ગાંધી અને પુત્ર વરુણ ગાંધી સાંસદ બન્યા છે. મેનકા ગાંધીએ આ બેઠક પર પહેલીવાર 1989માં જીત પ્રાપ્ત કરી રતી. તેમને જનતાદળે ઉમેદવાર બનાવ્યા હતા. 1996 બાદથી સતત આ બેઠક પર મેનકા ગાંધી અને વરુણ ગાંધી ચૂંટણી જીતતા રહ્યા છે. મેનકા ગાંધી 6 વખત અને વરુણ ગાંધી 2 વખત પીલીભીત લોકસભા બેઠક પરથી સાંસદ બન્યા છે.
પીલીભીત લોકસભા બેઠકનો ઈતિહાસ-
પહેલીવાર 1952માં ચૂંટણી થઈ હતી અને કોંગ્રેસના મુકુંદલાલ અગ્રવાલે જીત પ્રાપ્ત કરી હતી. તેના પછી 3 વખત આ બેઠક પર પ્રજા સોશયલિસ્ટ પાર્ટીનો કબજો રહ્યો હતો. 1957માં પ્રજા સોશલિસ્ટ પાર્ટીના ઉમેદવાર મોહન સ્વરૂપે જીત પ્રાપ્ત કરી હતી. મોહન સ્વરૂપ 1962 અને 1967માં આ બેઠક પરથી તેઓ સાંસદ બન્યા. પરંતુ 1971માં લોકસભા ચૂંટણીમાં મોહન સ્વરૂપે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી. 1971માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે મોહન સ્વરૂપ સાંસદ બન્યા હતા.
1977માં કટોકટી બાદની ચૂંટણીમાં જનતા પાર્ટીના મોહમ્મદ શમ્સુલ હસન ખાને જીત મેળવી હતી. 1980માં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના હરીશ કુમાર ગંગવારને જીત મળી હતી. પંરતુ 1984માં કોંગ્રેસના ઉમેદવાર બદલવામાં આવ્યા અને ભાનુપ્રતાપસિંહ અહીંથી સાંસદ બન્યા હતા.
1989માં લોકસભાની ચૂંટણીમાં જનતાદળે મેનકા ગાંધીને પહેલીવાર આ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા હતા અને તેઓ સાંસદ બન્યા હતા. 1991માં ભાજપના ઉમેદવાર પરશુરામ ગંગવારને જીત મળી હતી. બાદમાં મેનકા ગાંધીને 1996માં જનતાદળની ટિકિટ પર પીલીભીતથી જીત મળી હતી. બાદમાં 1998, 1999 અને 2004માં મેનકા ગાંધી પીલીભીતતી સાંસદ તરીકે ચૂંટાયા હતા.
2009માં વરુણ ગાંધી પહેલીવાર પીલીભીતથી ચૂંટણી લડીને ભાજપના ઉમેદવાર તરીકે કોંગ્રેસના ઉમેદવાર વી. એમ. સિંહને મોટી સરસાઈથી હરાવીને જીત્યા હતા. 2014માં ફરી એકવાર મેનકા ગાંધી પીલીભીતથી ભાજપના સાંસદ બન્યા. તો 2019માં પીલીભીતથી વરુણ ગાંધી ભાજપના સાંસદ બન્યા હતા.
પીલીભીતનું જાતિ સમીકરણ-
પીલીભીત લોકસભા બેઠક પર સૌથી વધુ મુસ્લિમ મતદાતા છે. મુસ્લિમ મતદાતાની સંખ્યા લગભગ 4.30 લાખ છે. આ સિવાય આ બેઠક પર સવા બે લાખ જેટલા કુર્મી વોટર છે. 4 લાખ દલિત વોટર છે. તેમની પણ હારજીતમાં મહત્વની ભૂમિકા છે. પીલીભીતમાં 1.7 લાખ બ્રાહ્મણ અને 1 લાખ શીખ વોટર છે. આ સિવાય આ બેઠક પર રાજપૂત અને ખેડૂતોની પણ સારી એવી સંખ્યા છે.
5 વિધાનસભા બેઠકોનું સમીકરણ-
પીલીભીત લોકસભા મતવિસ્તારમાં 5 વિધાનસભા મતક્ષેત્ર છે. તેમાં બહેડી, પીલીભીત, બરખેરા, પૂરનપુર અને બીસલપુર સામેલ છે. તેમાંથી 4 બેઠકો પર ભાજપ અને એક બેઠક પર સમાજવાદી પાર્ટીને જીત મળી હતી. બહેડીથી સમાજવાદી પાર્ટીના અતાઉર રહમાન ધારાસભ્ય બન્યા છે. જ્યારે પીલીભીતથી સંજય ગંગવાર, બરખેરાથી સ્વામી પ્રકટાનંદ, પૂરનપુરથી બાબુરામ પાસવાન અને બીસલપુરથી વિવેક વર્મા ધારાસભ્ય છે.