PM મોદીનો જામનગરમાં ભવ્ય રોડ શો યોજાયો, આજે દ્વારકામાં સુદર્શન બ્રિજનું લોકાર્પણ કરશે
જામનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સાંજે જામનગરની મુલાકાતે આવી પહોંચતા એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી આર પાટિલ સહિતનાઓએ PM મોદીનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ શહેરના દિગ્જામ સર્કલથી પાયલોટ બંગલા સુધી PM મોદીનો ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતા. વડાપ્રધાને લોકોનું અભિવાંદન ઝીલ્યુ હતું. રોડની બન્ને સાઈડ લોકોની ભારે ભીડ જામી હતી, વડાપ્રધાને રાત્રી રોકાણ સર્કિટ હાઉસ ખાતે કર્યુ હતું. વડાપ્રધાન આજે રવિવારે સવારે દ્વારકા જવા રવાના થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાતે આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને જામનગરના સાંસદ પૂનમબેન માડમ સહિતનાઓએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ શહેરના દિગ્જામ સર્કલથી પાયલોટ બંગલા સુધી વડાપ્રધાનના રોડ શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. વડાપ્રધાનના આગમનને લઈને જામનગરવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરમાં દિગ્જામ સર્કલથી પાયલોટ બંગલા સુધીના રોડ પર બન્ને બાજુ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો સહિત લોકોએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. મોદી મોદી અને જય શ્રી રામના નારા લોકોએ લગાવ્યાં હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાત્રિ રોકાણ સર્કિટ હાઉસમાં કર્યા બાદ આજે રવિવારે સવારે દ્વારકા જવા રવાના થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે જામનગરથી હવાઈ માર્ગે રવાના થઈ ઓખા નેવી મથક ખાતે ઉતરાણ કરશે. ત્યાંથી સુદર્શન સેતુ ખૂલ્લો મુકી તેઓ બેટ (શંખોદ્વાર) મંદિરના દર્શન માટે જશે. ત્યારબાદ ફરી ઓખા નેવી મથકથી હવાઈ માર્ગે દ્વારકાના રૂક્ષ્મણી મંદિર પાસેના હેલીપેડ પર ઉતરાણ કરશે. દ્વારકા રૂક્ષ્મણી મંદિરથી મોટર માર્ગે સનાતન સેવા મંડળ પાસેના સર્કલથી ધીરૂભાઈ અંબાણી માર્ગ સુધી રોડ શો કરી લોકોનું અભિવાદન ઝીલશે. જગત મંદિરમાં સવારે 9-30 કલાકે પુજન-અર્ચન કરશે એ પછી બપોરે 12.30 કલાકે દ્વારકા જંગી જાહેર સભાને સંબોધન કરશે.દ્વારકામાં બપોરના ભોજન પછી વડાપ્રધાન બપોરે 2.15 કલાકે વિમાન માર્ગે રાજકોટ જવા રવાના થશે.