નવી દિલ્હીઃ લોકસભામાં જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સંશોધન) વિધેયક 2023 તથા જમ્મુ અને કાશ્મીર પુનઃગઠન વિધેયક 2023 ઉપર ચર્ચા દરમિયાન ગૃહની અંદર જ અમિત શાહે કોંગ્રેસને આડેહાથ લીધી હતી. તેમજ કહ્યું હતું કે, નહેરુની ભૂલના કારણે પીઓકે બન્યું છે. પંડિત નહેરુ વડાપ્રધાન પદે હતા ત્યારે બે મોટી ભૂલ કરી હતી, જેના કારણે વર્ષો સુધી કાશ્મીરને ભોગવવુ પડ્યું છે. જ્યારે આપણી સેના જીતી રહી હતી પંજાબનો વિસ્તાર આવતા જ સિઝફાયર કરી દેવાયું અને પીઓકેનો જન્મ થયો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં જણાવ્યું હતું કે, જો સીઝફાયરમાં 3 દિવસનું મોડુ થયું હોય તો પીઓકે આજે ભારતનો હિસ્સો હોત, સંયુક્ત રાષ્ટ્રમાં આપણા મુદ્દાને લઈ જવાયો તે મોટી ભૂલ હતી. અમિત શાહના આ નિવેદનને પગલે કોંગ્રેસના સાંસદોએ વિરોધ દર્શાવીને ગૃહમાં હંગામો મચાવ્યો હતો.
દરમિયાન અમિત શાહે કહ્યું કે, જો ગુસ્સે થવુ હોય તો મારા પણ નહીં પરંતુ નહેરુ ઉપર ગુસ્સે થાવ, જે બાદ કોંગ્રેસના સાંસદએ લોકસભામાં વોકઆઉટ કર્યું હતું. અમિત શાહે કહ્યું કે, પહેલા જમ્મુમાં 37 સીટ હતી હવે 43 બેઠક છે. કાશ્મીરમાં પહેલા 46 બેઠક હતી હવે 47 છે અને પીઓકેની 24 બેઠકો અનામત રાખવામાં આવી છે. પીઓકે ભારતનો જ હિસ્સો છે.
અમિત શાહે સરકારની ઉપલબ્ધીઓ ગણાવતા કહ્યું કે, મોદીના નેતૃત્વવાળી સરકાર સત્તામાં આવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં જોરદાર પરિવર્તન જોવા મળ્યું છે. જમ્મુ-કાશ્મીરના તમામ નાગરિકોના પાંચ લાખ રૂપિયા સુધીની સારવારનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવે છે. હવે ઘાટીમાં 100થી વધારે ફિલ્મોનું શુટીંગ થાય છે અને 100થી વધારે થિયેટર માટે બેંક લોકના પ્રસ્તાવની પ્રક્રિયા ચાલી રહી છે.
ગૃહ મંત્રી અમિત શાહે લોકસભામાં કહ્યું કે, મને વિશ્વાસ છે કે 2024માં મોદી સરકાર ફરી સત્તામાં પરત આવશે અને મને આશા છે કે 2026 સુધી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ પુરી રીતે સમાપ્ત થઈ જશે. અમિત શાહના નિવેદન બાદ જમ્મુ-કાશ્મીર આરક્ષણ (સંશોધન) બિલ અને જમ્મુ-કાશ્મીર પુનઃગઠન (સંશોધન) બિલ લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું.