રિક્ષા પાછળ રાજકીય પક્ષોના પોસ્ટર્સ કે બેનર્સ લગાડી શકાશે નહીં, ચૂંટણી પંચે કર્યો આદેશ
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતાનો અમલમાં આવી ગઈ છે. દરમિયાન ચૂંટણી પંચે આદર્શ આચારસંહિતાના ભાગરૂપે રિક્ષાની પાછળ લાગેલા રાજકીય પક્ષોના પોસ્ટને દુર કરવાની જિલ્લા પોલીસને સુચના આપવામાં આવી છે. જેમાં પોલીસ દ્વારા રોડ ઉપર ફરતી રિક્ષાની પાછળ લગાવેલા રાજકીય પક્ષોના પોસ્ટર દૂર કરવાના રહેશે. જો કે રાજકિય પક્ષોએ રિક્ષા પાછળ પોસ્ટર કે બેનર્સ લગાડવાની સંબંધિત સત્તાધિશોની મંજુરી લીધી હશે તો તેનો ખર્ચની ગણતરી કરવામાં આવશે. તેમજ હવે રિક્ષા પાછળ મંજુરી લીધા વિના બેનર્સ કે પોસ્ટર્સ લગાવી શકાશે નહી.
સૂત્રોના જણાવ્યા મુજબ લોકશાહીના પર્વ સમાન વિધાનસભાની ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાની અમલવારીના ભાગરૂપે પોસ્ટર, હોડિંગ્સ તેમજ રિક્ષા કે અન્ય વાહનોની પાછળ લગાવેલા રાજકીય પક્ષોની જાહેરાત કરતા પોસ્ટરને દુર કરવામાં આવે છે. જોકે રાજકીય પક્ષો ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પહેલાં જ નગરમાં ફરતી રિક્ષાઓની પાછળના ભાગમા રાજકીય પક્ષોના ચિહ્ન અને નેતાઓના ફોટાવાળા સ્ટીકર લગાવી દેવામાં આવ્યા હતા. રોડ પર ફરતી ઘણીબધી રિક્ષાઓ પાછળ રાજકીય પક્ષોના પોસ્ટર્સ અને બેનર્સ જોવા મળી રહ્યા છે.રાજ્યના ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી દેવાતા આદર્શ આચારસંહિતાની અમલવારી છતાં રિક્ષાઓની પાછળ લગાવેલા પોસ્ટરને દુર કરવાની કામગીરી કરવામાં આવી નથી. આથી ચૂંટણી પંચ દ્વારા કેટલી રિક્ષાઓ ઉપર રાજકીય પક્ષોએ સ્ટીકર લગાવ્યા છે. તેમાંથી કેટલી રિક્ષાઓની પાછળથી સ્ટીકર દૂર કરવામાં આવ્યા છે. ઉપરાંત કયા કયા રાજકીય પક્ષોએ મંજુરી લીધી સહિતની તપાસ કરવામાં આવી હતી. જેમાં જે રાજકીય પક્ષોએ મંજુરી લીધી નથી તેના સ્ટીકરને રિક્ષા પાછળથી દુર કરવાનો પોલીસને આદેશ કર્યો છે. જેના ભાગરૂપે રોડ ઉપર ફરથી રિક્ષાઓની તપાસ કરીને મંજુરી લીધી નથી તેવી રિક્ષાની પાછળ લાગેલા રાજકીય પક્ષના પોસ્ટરને દૂર કરવાના રહેશે. ઉપરાંત રોજે રોજ તેનો રિપોર્ટ રજુ કરવાનો આદેશમાં ઉલ્લેખ કરાયો છે. (file photo)