લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત માટે મતભેદોમાં નહીં ફસાવાની સલાહ, અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો પાર્ટી નેતાઓને સંદેશ
નવી દિલ્હી: 2024ની લોકસભા ચૂંટણીને લઈને દેશમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ પાર્ટી નેતાઓને કહ્યુ છે કે લોકસભા ચૂંટણીમાં જીત સુનિશ્ચિત કરવા માટે આગામી ત્રણ માસ સુધી ખુદને પાર્ટી માટે સમર્પિત કરીએ.
ખડગેએ પાર્ટી નેતાઓની એક બેઠકમાં કહ્યુ છે કે પોતાના મતભેદોને ભુલાવો, મીડિયામાં આંતરીક મુદ્દાઓ ઉઠાવો નહીં અને પાર્ટીની જીત સુનિશ્ચિત કરવા માટે એક ટીમ તરીકે કામ કરો. તેમણે કહ્યુ છે કે દિવસ-રાત કામ કરી અમે લોકસભા ચૂંટણી બાદ એક વૈકલ્પિક સરકાર પ્રદાન કરવામાં સફળ થઈશું.
આ કોંગ્રેસની મીટિંગમાં ખડગે સિવાય પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, પાર્ટી મહાસચિવ, રાજ્યોના પ્રભારીઓ અને રાજ્યના એકમોના પ્રમુખો સહીતના ઘણાં નેતાઓ હાજર રહ્યા હતા.
ખડગેએ દાવો કર્યો છે કે જે- જે રાજ્યોમાં વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાની જમીન સાથે જોડાયેલી, મજબૂત કાર્યકર્તા, આધાર અને વિચારધારાવાળી પાર્ટીઓ છે, ત્યાં ભાજપના નેતૃત્વવાળું એનડીએ માત્ર નામ માટે રહી ગયું છે.
2024ની લોકસભા ચૂંટણીમાં વિજય સુનિશ્ચિત કરવાના એજન્ડાથી દિલ્હીમાં થયેલી બેઠક દરમિયાન પ્રદેશ એકમોએ બેઠક વહેંચણીમાં વધુ બેઠકો લાવવાની માગણી કરી છે. સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે પંજાબ અને કેરળના નેતાઓએ આ રાજ્યોમાં ગઠબંધન નહીં કરવાની સલાહ આપી છે.
ખડગેએ ભાજપ પર પણ આકરા વાકપ્રહારો કર્યા. તેમણે કહ્યુ છે કે ભાજપ ગત 10 વર્ષમાં પોતાની સરકારની નિષ્ફળતાઓને છૂપાવવા માટે ભાવનાત્મક મુદ્દાઓને આગળ વધારી રહી છે. તે જાણીજોઈને દરેક મુદ્દામાં કોંગ્રેસને સામેલ કરે છે. આપણે એકજૂટ થઈને લોકોની સામે જમીની મુદ્દાઓ પર ભાજપના જૂઠ, ફરેબ અને ખોટી વાતોનો જડબાતોડ જવાબ આપવાનો છે.
મહત્વપૂર્ણ છે કે લોકસભા ચૂંટણીમાં એક તરફ કોંગ્રેસ, ટીએમસી, ડીએમકે અને આમ આદમી પાર્ટી સહીત ઘણાં પક્ષોવાળા વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા છે, તો તે બીજી તરફ ભાજપના નેતૃત્વવાળું એનડીએ છે.