Site icon Revoi.in

એગ્રીકલ્ચર સેક્ટરમાં ઉત્પાદન પણ વધીને 2.7 લાખ કરોડ થયું: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે પોષણક્ષમ ભાવે મગફળી, સોયાબીન, અડદ અને મગની ખરીદીનો રાજ્ય વ્યાપી પ્રારંભ હિંમતનગરથી કરાવ્યો હતો. પ્રાઈઝ સપોર્ટ સ્કીમ PSS અન્વયે ખેડૂતોને તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુસર રાજ્યમાં 160થી વધુ કેન્દ્રો દ્વારા 90 દિવસ સુધી આ ખરીદી કરવામાં આવશે. રાજ્યભરના 3.70 લાખથી વધુ કિસાનોએ આ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.  મુખ્યમંત્રીએ આ પ્રસંગે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદી હંમેશા ખેડૂતોની પડખે ઊભા રહ્યા છે. જગતના તાતને સમૃદ્ધ કરતી અનેક કૃષિ કલ્યાણ યોજનાઓ તેમણે શરૂ કરાવી છે. 

મુખ્યમંત્રીએ કહ્યું  હતું કે, નર્મદાના વહી જતાં પાણીને ખેતરો સુધી  સિંચાઈ માટે પહોંચાડયા. પ્રત્યેક જિલ્લામાં 75 જેટલા અમૃત સરોવરનું નિર્માણ અને ‘કેચ ધ રેઇન’ અંતર્ગત બોર બનાવાયા. વધુમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહે તે પ્રકારનું સુદ્રઢ આયોજન પીએમની વિઝનરી લીડરશીપમાં થયુ છે. આવા બધા જ સફળ આયોજનને પરિણામે ગુજરાતમાં પાછલા 23 વર્ષમાં અભૂતપૂર્વ કૃષિ વિકાસ થયો છે તેની છણાવટ તેમણે કરી હતી. આ સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રાજ્યનો પિયત વિસ્તાર આજે 62 લાખ હેક્ટર થઈ ગયો છે. એટલું જ નહીં, એગ્રીકલ્ચર સેક્ટરમાં ઉત્પાદન પણ વધીને 2.7 લાખ કરોડ થયું છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જિલ્લાના ખેડૂતોને વિવિધ યોજનાકીય સહાયના ચેક અર્પણ કરાયા હતા. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2024-25માં મગફળી માટે રૂ.6783, મગ માટે રૂ.8682, અડદ માટે રૂ.7400 તેમજ સોયાબીન માટે રૂ.4892 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કરાયા છે. રાજ્યના તમામ 160 કેન્દ્રો ખાતેથી 90 દિવસ સુધી ખરીદી ચાલશે.

Exit mobile version