- શ્રમિક આક્રોશ રેલીમાં કામદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા,
- ભારતીય મજદૂર સંઘ સંલગ્ન 161 યુનિયનો અને મહાસંઘ દ્વારા પ્રશ્નો ઉકેલવા માગ કરી,
- શ્રમિકોના વિવિધ પ્રશ્નોને લઈને કુલ 14 પ્રકારના આવેદનપત્રો તૈયાર કરાયા
અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ પર આજે ભારતીય મજદૂર સંઘ દ્વારા દત્તોપંત ઠેંગડીજીની 106મી જન્મજયંતી નિમિત્તે મહાસંમેલનનું આયોજન કરાયુ હતુ. જેમાં ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલાં 161 યુનિયનો અને મહાસંઘના કાર્યકરો ઉમટી પડ્યા હતા. ભારત માતા કી જયના નારાથી વાતાવરણ ગુંજી ઊઠ્યુ હતું. શ્રમિકોના યુનિયનોએ સરકારની શ્રમિકો વિરોધની નીતિ-રીતિનો ભારે વિરોધ કર્યો હતો. અને શ્રમિકોના વિવિધ પ્રશ્નોને લઈને 14 જેટલા આવેદનપત્રો તૈયાર કરાયા હતા. આ આવેદનપત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આપવામાં આવશે.
અમદાવાદના રિવરફ્રન્ટ પર આજે ભારતિય મજદૂર સંઘના ઉપક્રમે મહાસંમેલન યોજાયુ હતું. જેમાં શ્રમિકોના 161 યુનિયનોના કાર્યકર્તાઓ તેમજ મહાસંઘના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દરેક સંગઠન પોતાના પડતર પ્રશ્નોને લઈને મોટી સંખ્યામાં ભેગા થયા હતા. શ્રમિકોએ પોતાના લાંબા સમયથી પડતર પ્રશ્નો અને માંગણીઓ ઉકેલવા માગ કરી હતી. ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલાં 161 યુનિયનો અને મહાસંઘના હજારો કાર્યકરોએ ‘ભારત માતા કી જય’ ના નારા સાથે સરકાર સામે ઉગ્ર દેખાવો કર્યા હતા. બીજી તરફ, પગાર વધારા મુદ્દે હાઇકોર્ટના આદેશનું પાલન ન થતાં આંગણવાડી બહેનોએ પણ આંદોલન ઉગ્ર બનાવ્યું છે અને આગામી 1લી ડિસેમ્બરથી 1000 બહેનોની ભૂખ હડતાળનું એલાન કર્યું છે. વિવિધ યુનિયનો પોતપોતાના કર્મચારીઓ સાથે નાની-નાની રેલી સ્વરૂપે રિવરફ્રન્ટ પર પહોંચ્યા હતા, જ્યાં આ તમામ રેલીઓ એક મહાસંમેલનમાં ફેરવાઈ હતી. દરેક સંગઠને પોતાના પડતર પ્રશ્નોને લઈને સરકારની નીતિઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ભારતીય મજદૂર સંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, શ્રમિકોના વિવિધ પ્રશ્નોને લઈને કુલ 14 પ્રકારના આવેદનપત્રો તૈયાર કરવામાં આવ્યા છે. આ તમામ આવેદનપત્રો મુખ્યમંત્રી સહિત રાજ્યના તમામ મંત્રીઓને સુપરત કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારતા કહ્યું કે, ‘જો સરકારની આંખ નહીં ખૂલે અને અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, તો આગામી સમયમાં શ્રમિકોનો આ આક્રોશ પરાકાષ્ઠાએ જશે.’
ભારતીય મજદૂર સંઘે જણાવ્યું કે, આશા વર્કરો, એસટી કર્મચારીઓ, બાંધકામ શ્રમિકો અને અન્ય ક્ષેત્રોના કામદારોના પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં આ ‘આક્રોશ રેલી’ યોજવામાં આવી છે. આ રેલીમાં રાજ્યભરમાંથી હજારો કર્મચારીઓ અને શ્રમિકો ઉમટી પડ્યા હતા. વિશાળ જનમેદનીને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા વાડજ સ્મશાનગૃહથી માંડીને આંબેડકર બ્રિજ સુધીનો રિવરફ્રન્ટનો માર્ગ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો હતો અને વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ઝન આપવામાં આવ્યું હતુ.

