
દ્વારકામાં કાલે શુક્રવાથી કોંગ્રેસની ત્રિદિવસીય ચિંતન શિબિર, રાહુલ ગાંધી હાજરી આપશે
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે આઠ મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અને કોંગ્રેસ દ્વારા ત્રણ દિવસની ચિંતન શિબિરનું આયોજન દ્વારકા ખાતે કરવામાં આવ્યું છે જેમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી પણ હાજરી આપશે. દ્વારકાના આહિર સમાજની વાડીમાં ચિંતન શિબિર યોજાશે.
પ્રદેશ કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે, આવતીકાલથી તા. 25,26 અને 27 ફેબ્રુઆરી દરમિયાન દ્વારકા ખાતે કોંગ્રેસની ચિંતન શિબિર યોજાનારી છે. આ શિબિરમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓએ હાજરી આપશે. આ શિબિરમાં હાજરી આપવા માટે કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ સાંસદોને આમંત્રણ આપવામાં આવ્યું છે.આ ચિંતન શિબિરમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા હાથ ધરવામાં આવશે. અને આગામી વિધાનસભાની ચૂંટણી અંગે ચરેચા કરવામાં આવશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી નો કાર્યક્રમ નિર્ધારિત થઈ ચૂકયો છે.બે દિવસ પહેલા દ્વારકામાં કોંગ્રેસના પ્રદેશ નેતાઓ જગદીશ ઠાકોર, અમિત ચાવડા, સી જે ચાવડા, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સહિતના નેતાઓએ દ્વારકાનો પ્રવાસ કર્યેા હતો. દ્વારકાના હેલિપેડ તેમજ શિબિરવાળી જગ્યાનું જાત નિરીક્ષણ કર્યું હતું. ગુજરાતમાં કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે અને રાહુલ ગાંધીની આ મુલાકાત દરમિયાન ચૂંટણીના મુદ્દા, પ્રચાર–પ્રસાર, ઉમેદવારોની પસંદગીથી માંડીને કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારની નિષ્ફળતાઓ સહિતના મુદ્દે ચર્ચા–વિચારણા કરીને માર્ગદર્શન અપાશે. ગુજરાતમાં કોંગ્રેસનો જનાધાર વધારવા માટે પણ ચર્ચા કરીને નિર્ણયો લેવામાં આવશે.