Site icon Revoi.in

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 143 તાલુકામાં વરસાદ, મેંદરડામાં 6 કલાકમાં 13 ઈંચ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં આજે બપોરના 4 વાગ્યા સુધીમાં 143 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં જુનાગઢના મેંદરડામાં 13 ઈંચ, કેશોદમાં 11 ઈંચ, વંથલીમાં 10 ઈંચ, તથા પોરબંદરમાં 9 ઈંચ, જુનાગઢના માણાવદરમાં 8 ઈંચ, નવસારીના ગણદેવીમાં 7.09 ઈંચ, પોરબંદરના કૂતિયાણામાં 7 ઈંચ, વલસાડના કપરાડામાં 6 ઈંચ, પોરબંદરના રાણાવાવમાં 5.75 ઈંચ, ભાવનગરના મહુવામાં 5.28 ઈંચ, તળાજામાં 4.88 ઈંચ, તેમજ કાલાવડ, ખેરગામ, રાજુલા, વાપી, ગારીયાધારમાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે બાકીના તાલુકામાં દોઢથી ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. મેંદરડામાં 13 ઈંચ વરસાદથી જળબંબોળ જેવી સ્થિતિ છે. હાઈવે પર પાણી ભરાયા છે. તેમજ ઘુળવદરથી રાયપુર જતો રસ્તો બંધ થયો છે, છેલ્લા ત્રણ કલાકથી રસ્તો બંધ થયો છે. ડેમનું પાણી રસ્તા ઉપર વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 25 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આજે અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી અને સુરતમાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડએલર્ટ જાહેર કરાયું છે. જ્યારે દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં આ વર્ષે સિઝનનો 70 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યના 206 જળાશયોમાં 74 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે.

રાજ્યમાં આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન 168 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં દેવભૂમી દ્વારકા જિલ્લામાં રાજ્યનો સૌથી વધુ સરેરાશ 11 ઇંચ વરસાદ નોંધાયો હતો. જેમાં કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ 11 ઇંચ તથા દ્વારકા તાલુકામાં 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જયારે પોરબંદર તાલુકામાં 4 ઈંચ, માંગરોળ તાલુકામાં 3.74  ઈંચ, સુત્રાપાડા તાલુકામાં 3.35 ઈંચ, જાફરાબાદ તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં આજે સવારથી બપોરના 4વાગ્યા સુધીમાં 143 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ જુનાગઢના મેંદરડામાં 6 કલાકમાં 13 ઈંચ વરસાદ પડતા જનજીવન પ્રભાવિત બન્યું છે. તાલુકાની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. દાત્રાણા–બગડું રસ્તા પરથી પાણી જતું હોય રસ્તો બંધ કરવામાં આવ્યો છે. 40 લોકોનું સ્થળાંતર કરાયુ છે. ઉનાના ખત્રીવાડા ગામમાંથી પસાર થતી રૂપેણ નદી બે કાંઠે વહેવા લાગી ઉપરવાસ વરસાદથી ગ્રામ્ય વિસ્તારનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.