દુકાનની બહાર ફૂટપાથ પર વેચાણની વસ્તુઓ રાખતા વેપારીઓ સામે આ મંત્રીએ વ્યક્ત કરી નારાજગી
અમદાવાદઃ રાજકોટ અને વડોદરામાં ઈંડા અને માંસાહારની લારીઓ ઉપર પ્રતિબંધ ફરમાવવાના નિર્ણયની રાજ્યના મહેસુલ મંત્રીએ પ્રશંસા કરી હતી. તેમજ તેમણે દુકાનની બહાર વેપારીઓ દ્વારા મુકવામાં આવતી વસ્તુઓ તેમજ પૂતળા સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ આ અંગે પણ મનપા અને પોલીસને યોગ્ય કારવાહી કરવા સૂચન કર્યું હતું.
રાજ્યવ્યાપી નિરામય ગુજરાત અભિયાનનો વડોદરા શહેરી વિસ્તારમાં મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રારંભ કરાવ્યો હતો. તેમજ કહ્યું હતું કે, આ અભિયાન હેઠળ ખાસ કરીને ૩૦ થી ઉપરની ઉંમરના યુવા ધનને લાંબા ગાળાના બિન ચેપી પરંતુ ખર્ચાળ સારવાર માંગી લેતાં રોગો થી મુક્ત રાખવાનું અને તમામ લોકોની આરોગ્ય રક્ષાનું કામ થશે.
દરમિયાન તેમણે રાજકોટ અને વડોદરામાં જાહેર માર્ગો ઉપર ઈંડા અને માંસાહારની વાનગી વેચવા ઉપર ફરમાવવામાં આવેલા પ્રતિબંધ બદલે બંને મનપાની પ્રશંસા કરી હતી. તેમજ કહ્યું હતું કે, આ સારો નિર્ણય છે. આવા લોકો ફુટપાથ રોકીને આ પ્રવૃતિઓ કરતા હોય છે. જેથી રાહદારીઓને ભારે અડચણ થતી હતી. તેમજ ખુલ્લામાં લટકાવેલી બિન શાકાહારી વાનગીઓથી વરવા દૃશ્યો સર્જાય છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, ઘણાં દુકાનદારો દુકાનની બહાર ફૂટપાથ પર વેચાણની વસ્તુઓ લટકાવે છે. તેમજ પૂતળાં મૂકે છે જે રાહદારીઓ માટે અગવડ સર્જે છે. મહાનગર પાલિકા તેની સામે પગલાં લે, દંડ કરે એવો અનુરોધ કરતાં તેમણે શહેર પોલીસ તંત્રને આ પ્રકારના પગલાં સફળ બને તે માટે ઉચિત સહયોગ આપવા તેમણે અનુરોધ કર્યો હતો.