રાજ્યસભા ચૂંટણીઃ ગુજરાત સહિત 10 રાજ્યોની 24 બેઠકો માટે 18 જૂને મતદાન, ચૂંટણી પંચનું જાહેરનામું
નવી દિલ્હી, 22 મે 2026: કેન્દ્રીય ચૂંટણી પંચે શુક્રવારે 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટેની ચૂંટણીના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ તમામ 24 બેઠકો પર આગામી 18 જૂન 2026 ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચના નિવેદન અનુસાર, આ 10 રાજ્યોના વર્તમાન રાજ્યસભા સાંસદો આગામી 21જૂનથી 19 જુલાઈ દરમિયાન અલગ-અલગ તારીખોએ નિવૃત્ત થઈ રહ્યા છે, જેના કારણે ખાલી પડનારી બેઠકો ભરવા માટે આ ચૂંટણી યોજાઈ રહી છે.
આ ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં છે. ગુજરાત, આંધ્રપ્રદેશ અને કર્ણાટકની ચાર-ચાર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ત્રણ-ત્રણ, ઝારખંડની બે તેમજ મણિપુર, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમની એક-એક બેઠક ખાલી થઈ રહી છે. આ વખતે રાજ્યસભામાંથી દેશના અનેક કદાવર નેતાઓ નિવૃત્ત થઈ રહ્યા છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ અને પૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવેગૌડા જેવા અગ્રણી નામો સામેલ છે. આ ઉપરાંત રાજસ્થાનમાંથી રાજેન્દ્ર ગેહલોત, નીરજ ડાંગી અને રવનીત સિંહની બેઠકો પણ ખાલી થવા જઈ રહી છે. ગુજરાતની 4 બેઠકો પર પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આંતરિક ગણિત મંડાવવાના શરૂ થઈ ગયા છે.
ચૂંટણીપંચ દ્વારા 1 જૂનના રોજ જાહેરનામુ બહાર પાડવામાં આવશે. 8મી જુન સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. 11મી જૂન સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે અને 18મી જૂનના રોજ સવારે 9થી બપોરના 4 વાગ્યા સુધી મતદાન યોજાશે. જે બાદ મતણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચે મતદાન પ્રક્રિયાને લઈને અત્યારથી જ વિશેષ અને કડક માર્ગદર્શિકા જારી કરી દીધી છે. પંચે સ્પષ્ટ કર્યું છે કે મતદાન દરમિયાન ધારાસભ્યોએ માત્ર રિટર્નિંગ ઓફિસર દ્વારા આપવામાં આવેલી જાંબલીરંગની ખાસ સ્કેચ પેન નો જ ઉપયોગ કરવાનો રહેશે. જો કોઈ ધારાસભ્ય અન્ય કોઈ પેનથી મત આપશે, તો તેમનો મત અમાન્ય (રદ) ગણવામાં આવશે. આ ઉપરાંત સમગ્ર પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શી રીતે પૂર્ણ થાય તે માટે વિશેષ નિરીક્ષકોની પણ નિમણૂક કરવામાં આવશે.
આ પણ વાંચોઃ દિલ્હી કોર્ટે IRCTC હોટેલ કૌભાંડ કેસમાં લાલુ પ્રસાદ યાદવ પરનો ચુકાદો મુલતવી રાખ્યો


