સંઘમિત્ર દિલીપભાઇની સંવેદનાસભર અનુભૂતિ પ્રગટાવતી પુસ્તિકા: મારી લિવર ટ્રાન્સપ્લાન્ટ યાત્રા – થર્ડ ઇનિંગ
ભગીરથ દેસાઇ
જઠર પ્રત્યારોપણની કઠણ છતાં સફળ શસ્ત્રક્રિયા પાર પાડ્યા પછી જીવનની ત્રીજી પારી ખેલવા તત્પર સંઘમિત્ર આત્મીય બંધુ દિલીપભાઈની અનુભૂતિ પ્રગટાવતી પુસ્તિકા : મારી લિવર ટ્રાન્સપ્લાન્ટ યાત્રા _ થર્ડ ઇનિંગ
આજે પૂર્ણ રૂપે વાંચી અને અનેક સંવેદનાસભર અનુભૂતિ થઈ.
ભાઈ પ્રથમથી જ સાહસ અને સંઘર્ષનો માનુષ !
સુરત, મહેસાણા અને કચ્છમાં નેત્રદીપક સંઘ કાર્ય કર્યું અને પછી કચ્છની ધરતી સાથેના જાણે શું તે અંજળપાણી હશે તે એને જ કર્મભૂમિ બનાવી ત્યાં ખૂંપી ગયા.
બેફિકરો અને મોજીલો એવો અલગારી જીવ સ્વાસ્થ્યની કાળજી રાખે એ અસ્વાભાવિક જ બની રહે. શરીર ઘસાતું ગયું , પણ યોગ અને જુસ્સાને કારણે ગાડી ગબડતી રહી. અંતે સમસ્યા વિકટ બની અને સ્વાસ્થ્ય સારવાર માટે સૌ ચિંતિત બન્યા.
જઠર પ્રત્યારોપણ સફળ બને ત્યાં સુધીમાં તો અનેક ચઢાવ ઉતાર આવ્યા. સૌની સક્રિય શુભકામના અને એમના અદમ્ય આત્મવિશ્વાસ થકી આરોગ્ય સંગ્રામ પણ જીતાયો.
આ સંવેદના અને કૃતઘ્નતાથી ઓતપ્રોત એમની કહાની
આ પુસ્તિકામાં છે, જે વાચકોને અવશ્ય પ્રેરણા આપશે એ નક્કી છે.
પુસ્તિકા મૂલ્યવાન છે અને એટલે જ કદાચ એની કોઈ કીમત રાખી નથી. દિલીપભાઈ અને એમના દિલી મિત્રો ગમતાંનો ગુલાલ કરી રહ્યા છે !
આ પુસ્તિકાનું એક અવ્યક્ત પાસુ પણ છે. મને એ સ્પર્શી ગયું અને ગમ્યું. અને, તે એ કે પ્રધાનસેવક અને સર્વમિત્ર નરેન્દ્રભાઇ મોદીએ સ્વાસ્થ્ય તપાસણીથી માંડીને સફળ શસ્ત્રક્રિયા સુધી જે સંવેદનાસભર કાળજી રાખી હતી એ બાબતનો સહજ સામાન્ય ઉલ્લેખ સુધ્ધાં કર્યો નથી.
આ પણ એક સરાહનીય વિલક્ષણતા છે !
હવે પછી અંગદાન માટેનું અભિયાન વેગીલું બને અને લોકોમાં જાગૃતિ આવે એવા કાર્યમાં પોતાની જાતને સમર્પિત કરવાનો પુનિત સંકલ્પ દિલીપભાઈ દેશમુખનો રહેવાનો છે.
આ પ્રયાસ અર્થપૂર્ણ બની રહે એમાં આપણે અવશ્ય સહયોગ કરીએ.
જીવનયાત્રાની આ ત્રીજી પારી યશવંત બની રહે એવી શુભેચ્છા અને પ્રાર્થના .