Site icon Revoi.in

ભારત અને માલદિવ્સ વચ્ચે સબંધ વધુ મજબૂત બનશે

Social Share

નરેન્દ્ર મોદી ફરી એકવાર ચાર દિવસના વિદેશ પ્રવાસે જશે. આવતા અઠવાડિયે બ્રિટન અને માલદીવ્સની તેઓ મુલાકાત લેશે. આ દરમિયાન વેપાર કરારો અને સંબંધોને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. પીએમ મોદી 23-24 જુલાઈના રોજ યુનાઇટેડ કિંગડમ જશે, જ્યાં તેઓ ઐતિહાસિક ભારત-યુકે મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કરશે.

ભારત-બ્રિટન FTA: વેપાર અને સુરક્ષા સંબંધોને મળશે વેગ
આ ઐતિહાસિક કરાર ભારતથી બ્રિટનમાં થતી 99% નિકાસને અસર કરશે, કારણ કે તેનાથી ટેરિફમાં મોટો ઘટાડો થશે. ઉપરાંત બ્રિટનથી ભારતમાં વ્હિસ્કી અને કાર જેવા ઉત્પાદનોની નિકાસને પણ વેગ મળશે. જોકે ત્રણ વર્ષની વાટાઘાટો પછી આ કરાર શક્ય બન્યો છે, જેનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે વધુ સારી બજાર પહોંચ અને અનુકૂળ વ્યવસાયિક વાતાવરણ બનાવવાનો છે.

ભારત અને બ્રિટન વચ્ચેના મુક્ત વ્યાપાર કરાર (FTA) થી બંને દેશોના વ્યાપારિક સંબંધો વધુ મજબૂત બનશે અને સુરક્ષા સહયોગને પણ નવી દિશા મળશે તેવી આશા છે. આ કરાર વેપાર અવરોધોને ઘટાડીને બંને રાષ્ટ્રોને વ્યાપક આર્થિક ભાગીદારી તરફ આગળ વધારવામાં મદદરૂપ થશે.

બ્રિટનની મુલાકાત બાદ પીએમ મોદી 25 અને 26 જુલાઈના રોજ માલદીવ્સની મુલાકાત લેશે. ત્યાં તેઓ માલદીવ્સના 60મા રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.’ઈન્ડિયા આઉટ’ અભિયાનને કારણે બંને દેશોના સંબંધોમાં તાજેતરમાં આવેલી કડવાશ પછી પીએમ મોદીની માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્જુ સાથે આ પહેલી મુલાકાત હશે. જેથી આ યાત્રાને બંને દેશો વચ્ચે ફરીથી વિશ્વાસ પુનર્સ્થાપિત કરવા અને સહયોગને પ્રોત્સાહન આપવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.