Site icon Revoi.in

પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ધટતું નથી તે સંશોધનમાં સાબિત થયુ છેઃ રાજ્યપાલ

Social Share

ગાંધીનગર, 03 માર્ચ 2026: Research has proven that natural farming does not reduce production રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ સંદર્ભે થઈ રહેલી કામગીરીની સમીક્ષા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને અને કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યકક્ષાની બેઠક યોજાઈ હતી.

પ્રાકૃતિક ખેતીને સમયની સૌથી મોટી જરૂરિયાત ગણાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, રાસાયણિક ખેતીના કારણે આજે માનવ સ્વાસ્થ્ય, જમીન, પાણી અને પર્યાવરણ પર ગંભીર અસર પડી છે. મોટી સંખ્યામાં લોકો વિવિધ રોગોથી પીડાઈ રહ્યા છે, જમીનની ઉત્પાદકતા ઘટી રહી છે તેમજ પાણી અને હવા પણ પ્રદૂષિત થઈ રહ્યા છે. આવા સમયમાં પ્રાકૃતિક ખેતી જ આ તમામ સમસ્યાઓનું સ્થાયી સમાધાન છે.

રાજ્યપાલએ જણાવ્યું કે, રાજયની કૃષિ યુનિવર્સિટીઓના સંશોધનો દ્વારા સાબિત થયું છે, પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટતું નથી. અને આ પદ્ધતિ  પર્યાવરણ અને ધરતીના આરોગ્યને જ સાચવવા ઉપરાંત ખેડૂતોની આર્થિક સ્થિતિને પણ મજબૂત બનાવે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, જો પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર સમગ્ર દેશમાં થાય, તો તે એક સકારાત્મક અને ઐતિહાસિક પરિવર્તન સાબિત થશે.

તેમણે જણાવ્યું કે, જેમ દેશ આજે પણ કૃષિ વૈજ્ઞાનિક ડૉ સ્વામીનાથનને હરિત ક્રાંતિ માટે યાદ કરે છે, તેવી જ રીતે પ્રાકૃતિક ખેતીના આ અભિયાન સાથે જોડાયેલા તમામને પણ આવનારા સમયમાં દેશ યાદ રાખશે. તેમણે આ દિશામાં કાર્ય કરી રહેલા તમામ પદાધિકારીઓ, અધિકારીઓ અને નિષ્ણાતોની પ્રશંસા કરતા જણાવ્યું કે, ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં એક નવી સકારાત્મક ક્રાંતિનો માર્ગ પ્રસસ્ત થઈ રહ્યો છે.

રાજ્યપાલએ ઉમેર્યું કે, પ્રાકૃતિક ખેતીને વ્યાપક જનઆંદોલન બનાવવા માટે સૌએ મળીને સતત પ્રયત્નો કરવાના રહેશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આવનારા સમયમાં આ અભિયાનના વધુ સકારાત્મક પરિણામો સામે આવશે.

આ તકે કૃષિ મંત્રી  જીતુભાઇ વાઘાણીએ કહ્યું કે, રાજ્યપાલ પ્રાકૃતિક કૃષિના પ્રચાર માટે જાતે તાલુકા સ્તરે જઈને ખેડૂતો વચ્ચે રહે છે, તેમના માર્ગદર્શનથી આજે લાખો ખેડૂતો આ પુણ્ય કાર્યમાં જોડાયા છે. રાજ્યમાં યુરિયાનો ન્યૂનતમ ઉપયોગ થાય અને રાજ્ય પ્રાકૃતિક કૃષિની બાબતમાં મોડલ સ્ટેટ બને તે દિશામાં કાર્ય કરવાનું સુચવીને મંત્રીશ્રીએ રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ સંદર્ભે થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરી ઉચ્ચ અધિકારીશ્રીઓને જરૂરી સુચનો આપ્યા હતા.

આ બેઠકમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અગ્ર સચિવ  આર.સી. મીણા, સંયુક્ત સચિવ  નીતિન સંગવાન, કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આત્મા, પશુપાલન વિભાગ અને કૃષિ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version