અમદાવાદઃ શહેરમાં હાલ વરસાદી માહોલમાં સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. વરસાદી વાતાવરણ વચ્ચે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યુ છે. શહેરમાં ઘરે-ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યાં છે. સતત વરસાદી વાતાવરણ વચ્ચે શહેરમાં રોગચાળો વધ્યો છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં અચાનક વધારો જોવા મળ્યો. જુલાઈ મહિનાના પ્રથમ 16 દિવસમાં જ મ્યુનિ.ના ચોપડે પાણીજન્ય બીમારીના સેંકડો કેસ જોવા મળ્યાં છે. કમળાના 133, ટાઇફોઇડના 104, જ્યારે ઝાડાઊલટીના 323 કેસ નોંધાયા છે. તો બીજી તરફ, શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધતા આરોગ્ય વિભાગ સક્રિય થયુ છે. વિવિધ વિસ્તારોમાં ફોગીંગ સહિતની કામગીરી હાથ કરવામાં આવી રહી છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં ચોમાસાની સીઝન શરૂ થતાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના કેસો વધ્યા છે. શહેરમાં મચ્છરજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મલેરીયા અને ચિકનગુનિયાનાં કેસો વધવાની શરૂઆત થઈ છે. જુલાઈ મહિનાના પ્રથમ 16 દિવસમાં કમળાના 133, ટાઇફોઇડના 104, જ્યારે ઝાડાઊલટીના 323 કેસ નોંધાયા છે. તો બીજી તરફ, શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધતા આરોગ્ય વિભાગ સક્રિય થયુ છે. વિવિધ વિસ્તારોમાં ફોગીંગ સહિતની કામગીરી હાથ કરવામાં આવી રહી છે. પાણીજન્ય રોગોમાં ડાયેરિયા, ટાઈફોઇડ, કમળા, કોલેરાની ફરિયાદ સાથે દર્દીઓને સારવારની ફરજ પડી રહી છે. વરસાદમાં પાણી ભરાવવાને કારણે મચ્છરના બ્રીડિંગ થતા ડેન્ગ્યુ, મલેરિયાના કેસો વધ્યા છે. મલેરીયા અને ડેન્ગ્યુમાં તાવ આવે, શરીરમાં દુખાવો થાય તેવા લક્ષણો જોવા મળે છે. શહેરીજનોએ ચોમાસાના કારણે અત્યારે ફાસ્ટફૂડ અને લારી ગલ્લા પર ખાતા પહેલા ચેતવું જોઈએ તેમજ વરસાદી સિઝનમાં ગરમ અને પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ.
મ્યુનિ,ની હોસ્પિટલના તબીબોના કહેવા મુજબ આ વખતે ચોમાસાની સીઝનની શરૂઆતમાં શહેરમાં વાયરલ ઈન્ફેક્શનનાં કેસો પણ વધ્યા છે. શરીરમાં દુખાવો, શરદી, ઉધરસની ફરિયાદ સાથે દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા છે. જો કોઈ પણ પ્રકારના લક્ષણો જોવા મળે તો ડોક્ટરનો સંપર્ક કરી જરૂરી રિપોર્ટ કઢાવી સારવાર લેવા લોકોને સલાહ છે. ડાયાબિટીસ, કેન્સર, હાર્ટ, કિડનીના જે દર્દીઓ હોય છે તેમણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગોમાં કમળા અને ડાયેરિયાનાં કેસો પણ વધ્યા છે. (file photo)