નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રીમંડળે આઠમા કેન્દ્રીય પગાર પંચની રચનાને મંજૂરી આપી. નવી દિલ્હીમાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું, પંચ તેની રચનાની તારીખથી 18 મહિનામાં પોતાની ભલામણો રજૂ કરશે. તેમણે કહ્યું, પંચમાં એક અધ્યક્ષ, એક અંશકાલિક સભ્ય અને એક સભ્ય સચિવ હશે.
સરકારે આ વર્ષે જાન્યુઆરીમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને અન્ય લાભમાં ફેરફારની તપાસ અને ભલામણ કરવા માટે આઠ-મા કેન્દ્રીય પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારના કર્મચારીઓના મહેનતાણાના માળખા, નિવૃત્તિ લાભ અને અન્ય સેવા શરતો સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિચાર કરવા અને તેમાં જરૂરી ફેરફારોની ભલામણ કરવા સમય-સમયે કેન્દ્રીય પગાર પંચોની રચના કરાય છે.
મંત્રીમંડળે રવિ મોસમ 2025-26 માટે ફૉસ્ફેટિક અને પૉટાશિક ખાતર પર પોષકતત્વ આધારિત સહાયના દરને પણ મંજૂરી આપી છે. શ્રી વૈષ્ણવે કહ્યું, મંત્રીમંડળે રવિ 2025 માટે અંદાજે 37 હજાર 952 કરોડ રૂપિયાની સહાય મંજૂર કરી છે. આ દર પહેલી ઑક્ટોબરથી અમલમાં આવશે. તેનાથી ખેડૂતોને રાહત દરવાળા, સસ્તા અને યોગ્ય કિંમત પર ખાતર મળી રહેશે.

