Site icon Revoi.in

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર, પરીક્ષા નિયામક સહિત 190 જગ્યાની ભરતી કરાશે

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વની અનેક જગ્યાઓ ખાલી છે. ત્યારે રાજ્ય સરકારે 190 જગ્યાઓ ભરવા માટે મંજુરી આપી છે. જેમાં રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયામક સહિતની મહત્વની  જગ્યાઓની ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત સાતમા પગાર પંચમાં જે કર્મચારીઓ સેવા નિવૃત્ત થયા હોય, અવસાન થયું હોય અથવા તો રાજીનામું આપીને ચાલ્યા ગયા હોય તેવી ટીચિંગ અને નોન ટીચિંગની કાયમી જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફમાં કાયમી ભરતી ન થતા વહીવટ ખોરવાઈ ગયો છે. 372ના મંજૂર મહેકમ સામે 154 જગ્યાઓ ઉપર કાયમી ભરતી થયેલી છે. જ્યારે 218 જગ્યાઓ ખાલી છે. કાયમી ભરતી ન થતા હાલ આઉટસોર્સિંગ એજન્સી દ્વારા કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓને સેવા આપી રહ્યા છે. જોકે હવે રાજ્ય સરકારે નવી ભરતી માટે મંજુરી આપતા  કાયમી રજિસ્ટ્રાર, પરીક્ષા નિયામક સહિત 190 જેટલી શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવામાં આવશે.  રાજ્ય સરકાર દ્વારા ડિસેમ્બર- 2025 સુધીમાં ભરતી કરવા માટેની સૂચના આપેલી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી કુલપતિ તરીકે ચાર્જ લીધો ત્યારથી રાજ્ય સરકાર સાથે નેગોસીએશન ચાલુ હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ વહીવટી સ્ટાફની ઘટ છે ત્યારે અગાઉ જે 54 નોન ટીચિંગ સ્ટાફની ભરતી ન થઈ શકી હતી તે જગ્યાઓ પુનઃ જીવિત કરવા માટેની માંગણી સરકાર સમક્ષ કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે આ 54 જગ્યાઓ પર ભરતી કરવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. આ ઉપરાંત સાતમા પગાર પંચમાં જે કર્મચારીઓ સેવા નિવૃત્ત થયા હોય, અવસાન થયું હોય અથવા તો રાજીનામું આપીને ચાલ્યા ગયા હોય તેવી ટીચિંગ અને નોન ટીચિંગની કાયમી જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. આ ઉપરાંત અન્ય 27 નવી જગ્યાઓ માટેની મંજૂરી મળી છે. જેમાં 21 જેટલી ટીચિંગ અને 6 જેટલી નોન ટીચિંગ સ્ટાફની ભરતી કરવામાં આવશે. આ રીતે કુલ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની 190 જેટલી ભરતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવશે.