1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટના યુનિવર્સિટી રોડ પર ગેરકાયદે બાંધકામો દુર કરીને સાત હજાર ચો.મી. જગ્યા ખૂલ્લી કરાઇ
રાજકોટના યુનિવર્સિટી રોડ પર ગેરકાયદે બાંધકામો દુર કરીને  સાત હજાર ચો.મી. જગ્યા ખૂલ્લી કરાઇ

રાજકોટના યુનિવર્સિટી રોડ પર ગેરકાયદે બાંધકામો દુર કરીને સાત હજાર ચો.મી. જગ્યા ખૂલ્લી કરાઇ

0
Social Share

રાજકોટઃ શહેરમાં ઘણાબધા વિસ્તારોમાં દબાણો કરાયેલા છે. ત્યારે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ શુક્રવારે શહેરના યુનિવર્સિટી રોડ પર સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બંધાયેલા 10 રેસ્ટોરન્ટ પર બૂલડોઝર ફરી વળ્યું હતું. આ જગ્યા પર દબાણ કરી રેસ્ટોરન્ટનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું. આ કોમર્શિયલ બાંધકામોનું ડિમોલિશન કરીને 7 હજાર ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. જેની અંદાજિત કિંમત 10 કરોડ રૂપિયા થાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુની સૂચનાથી રાજકોટ શહેર આસપાસ અને જિલ્લામાં વિવિધ સ્થળોએ આવેલી સરકારી તથા ખરાબાની જમીનો ઉપર ખડકાયેલા ગેરકાયદેસર દબાણો સામે કડક ઝુંબેશ શરુ કરવામાં આવી છે. આવા રહેણાંક મકાનો, ઝુંપડા, શેડ તથા ખાણી પીણીના રેસ્ટોરન્ટો સહિતના દબાણો ઉપર જિલ્લા કલેક્ટરની સૂચનાથી રાજકોટ શહેર જિલ્લાના મામલતદારો દ્વારા બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. ચાલુ સપ્તાહમાં જ જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર રાજકોટ શહેરની ભાગોળે આજી ડેમ નજીક આવેલા માંડાડુંગરની કરોડો રુપિયાની સરકારી જમીનોમાંથી 37 જેટલા રહેણાંક અને ઝુંપડા સહિતના દબાણો હટાવી દેવામાં આવેલ હતા ત્યારે શુક્રવારે ફરી એકવાર રાજકોટના પશ્ચિમ મામલતદાર જાનકીબેન પટેલ દ્વારા જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ અતિ કિંમતી સરકારી જમીન પર ખડકાઇ ગયેલા દબાણો ઉપર બુલડોઝર ફેરવી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

સૂત્રોએ વધુમાં ઉમેર્યુ હતું કે, રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ ઉપર આવેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગેઇટની બાજુમાં જ બી.ટી.સવાણી કીડની હોસ્પિટલ નજીકની સર્વે નં. 318 પૈકીના પ્લોટ નં. 86 અને 87માં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર ખાણીપીણીના રેસ્ટોરન્ટ અને લારીઓના દબાણો ખડકાઈ ગયા હતા. આ દબાણો જિલ્લા કલેક્ટરના ધ્યાનમાં આવતા તેઓએ આ અંગે પશ્ચિમ મામલતદારને જરુરી કાર્યવાહી માટે સૂચના આપી હતી. જિલ્લા કલેક્ટરની સુચનાને પગલે પશ્ચિમ મામલતદાર દ્વારા વારંવાર આ કિંમતી જમીન ઉપર દબાણ કરનારા દબાણકર્તાઓને નોટીસો ફટકારી હતી. આમ છતાં દબાણકર્તાઓએ દબાણો હટાવ્યા ન હતા. આથી આજથી 10 દિવસ પહેલા જ પશ્ચિમ મામલતદાર જાનકીબેન પટેલે દબાણકર્તાઓને દબાણ હટાવવા માટે આખરી નોટીસો ફટકારી હતી. આ આખરી નોટીસો ફટકારવા છતાં દબાણકર્તાઓએ દબાણો નહીં હટાવતા શુક્રવાર સવારથી પશ્ચિમ મામલતદારની આગેવાની હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે યુનિવર્સિટી રોડની સર્વે નં. 318 પૈકીના પ્લોટ નં. 86 અને 87ની 7000 ચો.મી. જેટલી જમીનમાં ખડકાઈ ગયેલા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવેલ હતું.આ સાથે સરકારી તંત્રએ રૂા. 10.50 કરોડથી વધુની સરકારી જમીન ખુલ્લી કરાવી હતી.
પશ્ચિમ મામલતદાર જાનકીબેન પટેલે જણાવેલ હતું કે, ખાલી કરાયેલ જમીન પર ફરી વાર દબાણ નહીં થાય તેનું તંત્ર દ્વારા ધ્યાન રાખવામાં આવશે. આમ છતાં પણ જો કોઇ દબાણકર્તા ખાલી કરાયેલી જમીન પર ફરી વાર દબાણ કરવાની કોશિષ કરશે તો તેમના વિરુધ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એક્ટ-2020 અન્વયે કડક કાર્યવાહી કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code