Site icon Revoi.in

શંખેશ્વરઃ રૂપેણ નદી પર આવેલો 62 વર્ષ જૂનો બ્રિજ હવે ભારે વાહનો માટે બંધ કરાયો

Social Share

મહેસાણાઃ શંખેશ્વરથી 4 કિલોમીટર દૂર રૂપેણ નદી પર આવેલો 62 વર્ષ જૂનો બ્રિજ હવે ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. 1962માં બનેલો આ બ્રિજ સૌરાષ્ટ્ર, કચ્છ અને ધાંગધ્રા મિલેટ્રી કેમ્પને જોડતો મહત્વનો માર્ગ છે. છેલ્લા 10 વર્ષથી આ બ્રિજ જર્જરિત સ્થિતિમાં છે અને તંત્ર માત્ર સામાન્ય મરામત કરી રહ્યું છે. બ્રિજ પર આવેલી 14 ફૂટની ઈંટની ડિવાઈડરના કારણે છેલ્લા 25 વર્ષમાં 12 લોકોના મોત થયા છે.

નવા બ્રિજનું નિર્માણ કાર્ય એક વર્ષ પહેલા શરૂ કરાયું હતું, પણ કોન્ટ્રાક્ટર અને સરકારી અધિકારીઓની મિલીભગત તેમજ જમીન સંપાદન મુદ્દે ખેડૂતોના વિરોધને કારણે છેલ્લા ચાર મહિનાથી કામ બંધ છે. તંત્રની ઉદાસીનતા લોકોની સલામતી માટે જોખમ બની રહી છે.

હવે ભારે વાહનોએ શંખેશ્વરથી દશાડા સુધીના વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડશે, જે પાડલા, ધનોરા, મેરા, નાવીયાની અને વણોદ ગામોમાંથી પસાર થાય છે. આ રસ્તો લાંબો હોવાથી મૂળ 25 કિલોમીટરના બદલે 50 કિલોમીટરના અંતર સુધીની મુસાફરી કરવી પડશે. ખાસ કરીને ધનોરા થી નાવીયાની સુધીનો સિંગલ રોડ ભારે વાહનવ્યવહાર માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. સરકાર પાદરા-વડોદરા બ્રિજ દુર્ઘટના અને રાધનપુરના બ્રિજ બંધ પછી વધુ સતર્ક બની છે.

Exit mobile version