દિલ્હીઃ AIIMSના એક અભ્યાસમાં સામે આવ્યું છે કે, કોવિડ-19નો ડેલ્ટા વેરિએન્ટ ખુબ ખતરનાક છે અને આ કોવિડ વેક્સિનનો એક અથવા બંને ડોઝ લેનારને પણ સંક્રમિત કરી શકે છે. એટલું જ નહીં આ વેરિએન્ટની તાકાત એટલી કે, રસીની અસર પણ ઓછી કરી નાખે છે.
AIIMSના અભ્યાસમાં ખુલ્યું છે કે, કોવિડ વેક્સિન લેનાર લોકો સંક્રમિત થવાનું કારણ ડેલ્ટા વેરિએન્ટ (બી-1.617.2) છે. કોરોનાની કોવિશીલ્ડ અને કોવેક્સિન રસી લીધો હોય તો પણ આ વેરિએન્ટ તેમને સંક્રમિત કરવા સક્ષમ છે.
- રસીની અસર ઓછી કરે છે ડેલ્ટા વેરિએન્ટ
AIIMSના સ્ટડી રિપોર્ટ અનુસા,ર પરીક્ષણ દરમિયાન તમામ દર્દીઓમાં વાયરસ લોડ સૌથી વધારે હતો. જેમણે કોવિશીલ્ડ અથવા કોવેક્સીનની એક અથવા બંને ડોઝ લીધા હતા.
- 63 સંક્રમિતોના નમૂનાનો કરાયો અભ્યાસ
AIIMS દ્વારા અભ્યાસ માટે રસી લીધા બાદ કોરોના સંક્રમિત થયેલા 63 લોકોને સામેલ કર્યાં હતા. જે પૈકી 26 લોકોએ રસીના બંને ડોઝ લીધા હતા. જ્યારે 27 વ્યક્તિઓએ એક ડોઝ લીધો હતો. 63 પૈકી 10 લોકોએ કોવિશીલ્ડ અને અન્ય લોકોએ કોવેક્સિન લીધી હતી.
- સંક્રમિતો પૈકી કોઈનું મોત થયું નથી
સંસ્થાએ જણાવ્યું હતું કે, 63 વ્યક્તિઓમાં 41 પુરુષ અને 22 મહિલાઓનો સમાવેશ થાય છે. આ તમામ લોકો રસી લીધા બાદ સંક્રમિત થયાં હતા. જો કે, આ પૈકી કોઈનું મોત થયું ન હતું. મોટાભાગના લોકોને 5થી 7 દિવસ સુધી તાવ આવ્યો હતો.
- બંને ડોઝ લેનારા 60 ટકા લોકોમાં મળ્યો ડેલ્ટા વેરિએન્ટ
રસીના બંને ડોઝ લેનારા 60 ટકા લોકોમાં તથા એક ડોઝ લેનારા 77 ટકા લોકોમાં ડેલ્ટા વેરિએન્ટએ સંક્રમિત કર્યાં હતા. AIIMSના તાત્કાલિક વિભાગે આવતા દર્દીઓની નિયમિત તપાસ માટે લીધેલા નમૂનાનો અભ્યાસ કર્યો હતો. જેમાં સૌથી વધારે તાવ, શ્વાસ લેવામાં તકલીફ અને માથામાં દુઃખાવાની સમસ્યા જોવા મળી હતી.