1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં 25000 શિક્ષકોની ઘટ, હવે પ્રવાસી ટીચર્સની ભરતી કરાશે

રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં 25000 શિક્ષકોની ઘટ, હવે પ્રવાસી ટીચર્સની ભરતી કરાશે

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં હાલ શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. બીજીબાજુ રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં 25000 શિક્ષકોની ઘટ છે. શિક્ષકોની ઘટને લીધે ગામડાંઓની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ પર માઠી અસર થઈ રહી છે. ત્યારે સરકારે શિક્ષકોની ખાલી જગ્યાઓ પર પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય કર્યો છે.જોકે આ વર્ષનું સત્ર શરૂ થયાના 10 દિવસ બાદ પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાની માત્ર જાહેરાત થઈ છે અને હજુ ભરતી થતા બીજા 10 દિવસ જેટલો સમય થશે. જેથી સત્ર શરૂ થયાના 20 દિવસ બાદ સ્કૂલોને શિક્ષકો મળશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 6 મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે વિપક્ષ દ્વારા શિક્ષણનો મુદ્દો ઉઠાવવામાં આવે તે પહેલા જ સરકાર દ્વારા તાકિદે શિક્ષકોની ખાલી જગ્યાઓ પર કામ ચલાઉ પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં 25 હજાર જેટલા શિક્ષકોની ઘટ હોવાથી શાળા સંચાલકો અને આચાર્યોએ વેકેશન દરમિયાન જ પ્રવાસી શિક્ષકોની માંગણી કરી હતી. પરંતુ શિક્ષણ વિભાગે તેના પર ધ્યાન જ આપ્યું નહોતું અને હવે સ્કૂલો શરૂ થઈ છે અને પ્રવેશોત્સવ શરૂ ચાલી રહ્યો છે, ત્યારે શિક્ષણ વિભાગને ભાન થતા પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા પરિપત્ર જાહેર કર્યો છે. હજુ માત્ર જાહેરાત કરી છે. ત્યાર બાદ હવે સ્કૂલમાં શિક્ષકોની ઘટ હશે, તે મુજબ સ્કૂલ સંખ્યા સાથે DEOને જાણ કરશે અને DEO મંજુર કરશે તેટલા શિક્ષકોની સ્કૂલ દ્વારા ભરતી કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં પ્રવાસી શિક્ષકોની ભરતી માટે આ સમગ્ર પ્રક્રિયામાં 10 દિવસ જેટલો સમય લાગશે એટલે 1લી જુલાઈ બાદ પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવશે. જોકે સત્ર શરૂ થયાના 20 દિવસ બાદ ભરતી થતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ અસર પડશે. પ્રવાસી શિક્ષકોની ભરતી માટે પણ કેટલીક મર્યાદા રાખવામાં આવી છે, જેમાં 5થી વધારે તાસ પણ નહીં લઈ શકે. માધ્યમિક શિક્ષકને તાસ દીઠ માનદ વેતન 175 મળશે, મહત્તમ દૈનિક તાસ 5 પૈકી મહત્તમ દૈનિક માનદ વેતન રૂ.875 અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં તાસ દીઠ માનદ વેતન રૂ.200, મહત્તમ દૈનિક તાસ 4 પૈકી મહત્તમ દૈનિક માનદ વેતન રૂ.800 કરાયું છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, પ્રાથમિક શિક્ષણમાં ઉચ્ચક માસિક મહત્તમ માનદ વેતનની મર્યાદા રૂ.10,500થી વધે નહીં તે મુજબ, માધ્યમિક શિક્ષણમાં ઉચ્ચક માસિક મહત્તમ માનદ વેતનની મર્યાદા રૂ. 16,500થી વધે નહીં તે મુજબ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં ઉચ્ચક માસિક મહત્તમ માનદ વેતનની મર્યાદા રૂ.16,700 થી વધે નહીં તે મુજબ રહેશે, તે પ્રકારનો ઓર્ડર કરાયો છે. આ અંગે શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, ભરતી માટે વેકેશનમાં રજુઆત કરી હતી. તેની જગ્યાએ હવે ભરતીનો ઓર્ડર થયો છે. આગામી 1 જુલાઈ સુધીમાં ભરતી પુરી થશે અને સ્કૂલોને શિક્ષકો મળશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code