વડોદરા, 14 મે 2026: ગુજરાતભરમાં કાળઝાળ ગરમીથી જનજીવનને માઠી અસર થઈ છે. પણ પશુ-પંખીઓની હાલત તો અસહ્ય ગરમીમાં દયનીય બની છે. ત્યારે વડોદરા શહેરના કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવોને ગરમીથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં પ્રાણીઓને ઠંડક મળે તે માટે સત્તત પાણીનો છંટકાવ અને બરફ મુકવામાં આવ્યા છે. એરકૂલરો પણ મુકવામાં આવ્યા છે. પાંજરાઓ ફરતે ખસની ટટ્ટીઓ પણ લગાવવામાં આવી છે.
શહેરના કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ઝૂ વિભાગ દ્વારા પ્રાણીઓને ગરમીથી બચાવવા અને ગરમી સંબંધિત તણાવથી મુક્ત કરવા માટે અનેક પગલાંઓ લોવામાં આવ્યા છે. જેમાં પાણીનો છંટકાવ કરવાથી લઈને પ્રાણીઓ અને પક્ષિઓને આહાર માટે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. બરફના બ્લોક્સ મૂકવા જેવા કામોથી પ્રાણીઓને ગરમીથી બચાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
પ્રાણી સંગ્રહાલયના ઝૂ ક્યુરેટરે જણાવ્યું હતું કે, ઉનાળાની અસહ્ય ગરમીમાં પ્રાણીઓને ડિહાઈડ્રેશન અને થાકથી બચાવવા માટે ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. સંગ્રહાલયમાં સતત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. પક્ષીગૃહની અંદર ફોગર્સ, પાંજરાની અંદર બરફના બ્લોક્સ મૂકવા, કૃત્રિમ છાંયડાવાળા વિસ્તારો બનાવવા અને સંગ્રહાલયના પરિસરમાં ઠંડકની અસર માટે તેમને ભીના કરવા આ સાથે પ્રાણીઓને મોસમી ફળો અને શાકભાજી પૂરા પાડવામાં આવી રહ્યા છે. પ્રાણીઓને ડિહાઈડ્રેશન અને થાકને રોકવા પાણીમાં ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશન્સ અને મિનરલ સપ્લિમેન્ટ્સ ભેળવવામાં આવી રહ્યા છે. પ્રાણીઓ ઠંડક મેળવી શકે તે માટે એન્ક્લોઝરની અંદરના પૂલ અને જળાશયોને નિયમિતપણે સાફ અને રિફિલ કરવામાં આવી રહ્યા છે. આ સાથે પશુચિકિત્સા ટીમો ચોવીસ કલાક પ્રાણીઓના સ્વાસ્થ્ય અને વર્તન પર નજીકથી નજર રાખી રહી છે.

