વિરાટ કોહલીના પ્રદર્શનથી ક્રિકેટ બોર્ડ પણ નાખુશ, હવે વન-ડેમાંથી પણ કેપ્ટનશીપ ગુમાવે તેવી સંભાવના
- વિરાટ કોહલીના પરફોર્મન્સથી ક્રિકેટ બોર્ડ પણ નાખુશ
- હવે ટી-20 ઉપરાંત વન-ડેની કેપ્ટનશીપ પણ છીનવાય તેવી સંભાવના
- સમગ્ર ક્રિકેટ ટીમનું નવેસરથી ફોર્મેશન થઇ રહ્યું છે
નવી દિલ્હી: ટી-20 વિશ્વકપમાં પાકિસ્તાન અને બાદમાં ન્યૂઝીલેન્ડ સામે પરાજયનો સામનો કર્યા બાદ હવે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી પર દબાણ સતત વધી રહ્યું છે. આમ તો, ટી-20 વર્લ્ડકપ પહેલા જ વિરાટ કોહલીએ ટી-20 ફોર્મેટમાં કેપ્ટનશિપ છોડવાનું જાહેર કર્યું હતું પરંતુ હવે ટીમના કંગાળ પ્રદર્શનને જોતા વિરાટ કોહલી પાસેથી વન-ડે ટીમની કેપ્ટનશિપ પણ લઇ લેવામાં આવે તેવી સંભાવના છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, ટી-20 અને વન-ડેમાં એક જ કેપ્ટન હોય તેવું ટીમ મેનેજમેન્ટ ઇચ્છે છે અને ક્રિકેટ બોર્ડ પણ કોહલીના કેપ્ટન તરીકેના પ્રદર્શનથી નાખુશ છે. ક્રિકેટ બોર્ડને એવી આશા હતી કે, ભારત કમ સે કમ સેમિ ફાઇનલમાં તો પ્રવેશ કરી લેશે પરંતુ એવું થયું નથી. હવે ફરીથી ટીમ ફોર્મેશન પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
હાલમાં ક્રિકેટ બોર્ડ એક થીયરી પર મંથન કરી રહ્યું છે. જેમાં વ્હાઇટ બોલ ક્રિકેટ માટે એક સૂકાની તેમજ રેડ બોલ ક્રિકેટ માટે એક સૂકાની એવી રીતે વિચાર ચાલી રહ્યો છે. વિરાટની કપ્તાની હેઠળ ભારત એક પણ ICC ટૂર્નામેન્ટ જીતવામાં સફળ રહ્યું નથી.