1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાજ્યકક્ષાનો યોગ દિવસ કાર્યક્રમ યોજાશે
અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાજ્યકક્ષાનો યોગ દિવસ કાર્યક્રમ યોજાશે

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાજ્યકક્ષાનો યોગ દિવસ કાર્યક્રમ યોજાશે

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં આગામી 21મી જૂને ઉજવાનારા આંતરરાષ્ટ્રિય યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમોને આખરી ઓપ આપવામાં આવ્યો છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજાઈ હતી. આ વર્ષના આંતરરાષ્ટ્રિય યોગ દિવસની મુખ્ય થીમ ‘યોગ ફોર હ્યુમેનિટી’  ‘માનવતા માટે યોગ’ રાખવામાં આવેલી છે.

આંતરરાષ્ટ્રિય યોગ દિવસની રાજ્યકક્ષાથી લઇને જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરની ઉજવણીમાં અંદાજે સવા કરોડ લોકોને યોગમય બનાવી આ દિવસની ઉજવણી કરવા રાજ્ય સરકારે સુદ્રઢ આયોજન કર્યુ છે. આ સમગ્ર આયોજનની તલસ્પર્શી છણાવટ તથા સંબંધિત તંત્રવાહકોને જરૂરી માર્ગદર્શન મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠકમાં આપ્યું હતું. યોગ દિવસે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં યોજાવાનો છે. લગભગ 7500 થી વધુ લોકો આ કાર્યક્રમમાં યોગ માટે જોડાશે. આઝાદી કા અમૃત મહોત્સવ-સ્વતંત્રતાના 75 વર્ષ અંતર્ગત આ વર્ષનો વિશ્વ યોગ દિવસ ગુજરાતમાં કુલ 75 આઇકોનીક સ્થળોએ પણ ઉજવવામાં આવશે.

રાજ્યમાં મોઢેરા સૂર્યમંદિર અને અંબાજી મંદિર સહિત 17 ધાર્મિકસ્થળો, દાદા હરિની વાવ અને દાંડી સ્મારક સહિત 18 ઐતિહાસિક સ્થાનો, કચ્છના રણ સહિત 22 પ્રવાસન ધામો, માનગઢ હિલ અને સાપુતારા હિલ સહિત 17 કુદરતી સૌન્દર્ય ધામો અને સાયન્સસિટી ખાતે આ દિવસે સામુહિક યોગ સાધના કાર્યક્રમ થવાના છે. રાજ્યમાં યોગદિવસની ઉજવણી જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ તેમ જ શાળાઓ, આઈ.ટી.આઈ., આરોગ્ય કેન્દ્રો, પોલીસ સ્ટેશન અને જેલ ખાતે પણ કરવામાં આવશે. જિલ્લાદીઠ 3000 લોકો સહિત અંદાજે 99000 લોકો જિલ્લા કક્ષાની ઉજવણીમાં ભાગ લેશે.

અમદાવાદનું શાંતિગ્રામ અદાણી, કચ્છનું સફેદ રણ, મહેસાણાનો ધરોઈ ડેમ અને નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી વગેરે આઈકોનિક સ્થળો ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી થશે. તાલુકા કક્ષાની ઉજવણીમાં તાલુકાદીઠ 500 લોકો સહિત અંદાજે 1,25,500 લોકો ભાગ લેશે. ગામ દીઠ 25 લોકો યોગદિવસની ઉજવણીમાં જોડાશે. તેથી કુલ 4,55,650 લોકો ગ્રામીણ કક્ષાની ઉજવણીમાં જોડાશે. શિવરાજપુર બીચ અને કચ્છનું નાનું રણ આ બે આઈકોનિક સ્થળોએ તાલુકા કક્ષાની ઉજવણી થશે. રાજ્યની 45 હજાર પ્રાથમિક શાળાના 84,65,000 વિદ્યાર્થીઓ તેમ જ 3.23 લાખ શિક્ષકો યોગદિવસની ઉજવણીમાં જોડાશે. 12,500 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 28.43 લાખ વિદ્યાર્થીઓ અને 89 હજાર શિક્ષકો આ ઉજવણીમાં જોડાશે. 2600 યુનિવર્સિટી-કોલેજીઝના 16.14 લાખ વિદ્યાર્થીઓ અને 60 હજાર અધ્યાપકો યોગદિવસની ઉજવણીમાં સહભાગી થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code