અમદાવાદ, 1 એપ્રિલ 2026: Students can register for admission to degree engineering રાજ્યમાં ધોણ-12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ પહેલા જ ડિગ્રી એન્જિનિરિંગ કોલેજોમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની પ્રકિયાનો આજથી પ્રારંભ થયો છે. આજે તા. 1લી એપ્રિલથી તા. 31મી મે સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે. રાજ્યમાં સરકારી અને સ્વનિર્ભર એન્જિનિયરિંગ કોલેજોમાં 78,611 જગ્યાઓ ઉપલબ્ધ છે. ગત વર્ષે વિદ્યાર્થીઓને ઈજનેરીના વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશ અપાયા બાદ ઘણીબધી બેઠકો ખાલી રહી હતી.
રાજ્યમાં ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજામાં પ્રવેશ પ્રક્રિયાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા પહેલા જ પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ડિગ્રી એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ આજે 1 એપ્રિલથી 31 મે સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે. અંદાજે 78,611 બેઠક પર પ્રવેશ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગત વર્ષે 41,442 બેઠકો પર વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હતો.
પ્રવેશ સમિતિના સૂત્રોના કહેવા મુજબ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીના ડિગ્રી એન્જિનિયરિંગ અભ્યાસક્રમોના શૈક્ષણિક વર્ષ 2026- 27માં પ્રથમ વર્ષ માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગ્રાન્ટ ઈન એડ સંસ્થાની તમામ બેઠકો અને સ્વનિર્ભળ સંસ્થાની માન્ય બેઠકોની 50 ટકા બેઠક અને મેનેજમેન્ટ બેઠકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યની 16 સરકારી સંસ્થાઓ, ત્રણ અનુદાનિત સંસ્થાઓ, એક ઓટોનોમસ સંસ્થા અને 120 સ્વનિર્ભર સંસ્થાઓ પર પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેમાં 16 સરકારી સંસ્થાઓ અને ત્રણ અનુદાનિત સંસ્થાઓની 10,957 બેઠક, એક ઑટોનોમસ સંસ્થાની 156 બેઠક તેમજ સ્વનિર્ભર સંસ્થાની 67,654 બેઠકો એમ કુલ 78,611 બેઠક પર પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઉમેદવારો HSC માર્કશીટની જગ્યાએ પરીક્ષા હોલ ટિકિટ અને ગુજકેટ અથવા JEE ની માર્કશીટની જગ્યાએ પ્રવેશ પરીક્ષાની હોલ ટિકિટ અપલોડ કરીને રજીસ્ટ્રેશન કરાવી શકશે. તો ગત વર્ષે જે ઉમેદવારોએ પૂરક પરીક્ષામાં HSC પરીક્ષા પાસ કરી છે, તેવા ઉમેદવારોએ તમામ માર્કશીટ અપલોડ કરવી પડશે. જે ઉમેદવારોએ ગુજકેટ 2026 અથવા JEE 2026 અથવા બંને પરીક્ષામાં હાજર થયા હોય માત્ર તેવા જ ઉમેદવારો પ્રવેશ રાઉન્ડમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
સરકારી તથા અનુદાનિત બેઠકોની માન્ય બેઠકોની 95 ટકા બેઠકો અને સ્વનિર્ભર સંસ્થાઓની 50 ટકા બેઠકો માટે જે વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા પાસ કરી હોય અને ગુજકેટની 2026ની પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હોય તેવા ઉમેદવારો આ બેઠક માટે લાયક ગણાશે. સરકારી થતા અનુદાનિત બેઠકોની માન્ય બેઠકોની 5 ટકા બેઠક માટે જે વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા પાસ કરી હોય અને JEE 2026ની પરીક્ષામાં હાજર રહ્યા હોય તેવા ઉમેદવારો બેઠક માટે લાયક ગણાશે.

