Site icon Revoi.in

ગુજરાત હાઈકોર્ટમાં વધુ 8 જસ્ટિસની નિમણૂંકને સુપ્રીમની કોલેજિયમે આપી મંજુરી

Social Share

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં વધુ આઠ જજની નિમણૂંક માટે સુપ્રીમ કોર્ટની કોલેજિયમએ મંજુરી આપી દીધી છે. હવે કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા આ નામોને લઈ સત્તાવાર મંજૂરી આપ્યા બાદ 8 જજોને નિમણુક કરાશે. જેમાં જસ્ટિસ તરીકે લિયાકત હુસૈન શમસુદ્દીન પીરઝાદા,  રામચંદ્ર ઠાકુરદાસ વાછાણી, જયેશ લખનશીભાઈ ઓડેદરા, પ્રણવ મહેશભાઈ રાવલ,  મૂળચંદ ત્યાગી,  દીપકલાલ મનસુખલાલ વ્યાસ,  ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈ  રોહનકુમાર કુંદનલાલ ચૂડાવાલનો સમાવેશ થાય છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્ત્વનું જાહેરનામું રજૂ કરી ગુજરાત રાજયની લોઅર જયુડીશિયરી (ટ્રાયલ કોર્ટ)માં ફરજ બજાવતાં આઠ ન્યાયિક અધિકારીઓને બઢતી આપીને તેમને ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે નિમણૂંક આપવા અંગે ભલામણ કરી છે. જેને પગલે હવે આગામી દિવસોમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા આ નામોને લઈ સત્તાવાર મંજૂરી આપવામાં આવશે. સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બી.આર.ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતની બનેલી કોલેજિયમની મહત્ત્વની બેઠકમાં ગુજરાત હાઈકોર્ટમાં વધુ આઠ ન્યાયમૂર્તિઓના નામોની દરખાસ્તને વિધિવત મંજૂરી આપવામાં આવી હતી.

હાલ ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિઓની સંખ્યા 32 છે, જો આ વધુ આઠ ન્યાયમૂર્તિઓની બહાલી કેન્દ્રમાંથી આવશે એટલે ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓનું કુલ સંખ્યાબળ 40નું થશે.  હાઈકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે પસંદગી પામેલા આ આઠ ન્યાયિક અધિકારીઓ હાલ ગુજરાત રાજયની વિવિધ ટ્રાયલ કોર્ટોમાં ફરજ બજાવી રહ્યા છે. જેમાં મૂળચંદ ત્યાગી તો પહેલા હાઈકોર્ટમાં રજિસ્ટ્રાર જનરલપદે હતા. થોડા સમય પહેલાં જ તેમની આણંદ ખાતે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજ તરીકે બદલી કરાઈ હતી