સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ: હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશો માટે સમાન સુવિધાઓ ઘડવા બે સપ્તાહમાં સમિતિની રચના કરો
નવી દિલ્હી, 20 જુલાઈ 2026: હાઇકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશો અને અન્ય ન્યાયાધીશોને નિવૃત્તિ બાદ આપવામાં આવતી પેન્શન અને અન્ય સુવિધાઓ અંગે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે તમામ રાજ્યોમાં નિવૃત્ત ન્યાયાધીશો માટે એકસમાન માર્ગદર્શિકા તૈયાર કરવાના હેતુથી બે સપ્તાહની અંદર એક વિશેષ સમિતિની રચના કરવામાં આવે.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી પીઠે નિર્દેશ આપ્યો છે કે આ સમિતિ તેના ગઠનના ત્રણ મહિનાની અંદર પોતાની ભલામણો કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ બંને સમક્ષ રજૂ કરશે. આ સમિતિને કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે નિવૃત્ત જજોની સુવિધાઓનો નાણાકીય બોજ કઈ રીતે વહેંચવો તે અંગે પણ યોગ્ય સૂચનો આપવા જણાવાયું છે.
વરિષ્ઠ નાગરિકોની કાળજી લેવી આપણી સંસ્કૃતિ: CJI
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, “એમાં કોઈ શંકા નથી કે નિવૃત્ત ન્યાયાધીશોને મળતી સુવિધાઓ તમામ રાજ્યોમાં એકસમાન ધોરણે મળવી જોઈએ. અલગ-અલગ રાજ્યોમાં આ સુવિધાઓ જુદી જુદી હોય તે માટેનું કોઈ વ્યાજબી કારણ નથી.” સુનાવણી દરમિયાન સીજેઆઈ સૂર્યકાંતે મૌખિક રીતે ઉમેર્યું હતું કે, “પોતાના વરિષ્ઠ નાગરિકો અને વડીલોની યોગ્ય સંભાળ રાખવી અને તેમને સન્માન આપવું એ આપણી ભારતીય સંસ્કૃતિનો અવિભાજ્ય હિસ્સો છે.”


