Site icon Revoi.in

સુરેન્દ્રનગરનો ટાગોર બાગ જાળવણીના અભાવે ફરીવાર ખંડેર બન્યો

Social Share

સુરેન્દ્રનગરઃ શહેરના ટાગોર બાગની ખંડેર હાલત બની ગઈ છે. મ્યુનિ. દ્વારા 20 વર્ષ પહેલા કરોડોના રૂપિયા ખર્ચીને બગીચાનું રિનાવેશન કર્યું હતું. ત્યારબાદ યોગ્ય સંભાળ ન લેવાતા બગીચામાં બાકડા ગાયબ થઈ ગયા, હીંચકાના થાભલાં ઊભા છે. પણ હીચકા ગાયબ થઈ ગયા છે. લપસણીઓ તૂટેલી હોવાથી બાળકો લપસે તો ઇજા થવાનો ભય છે. જ્યારે સફાઇના અભાવે પક્ષીઓના ચરકથી બિસમાર ભાસે છે.

સુરેન્દ્રનગર શહેરની મધ્યે એક માત્ર બગીચો ટાગોરબાગ છે. પરંતુ જાળવણીના અભાવે આખો બગીચો મરણ પથારી પર હોય તેમ ખંડેર હાલતમાં છે. અગાઉના વર્ષોમાં અનેક વખત બગીચાના રિનોવેશન પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા હોવા છતાં બગીચો બિસમાર બનતા લોકોએ વીડિયો ફરતો કરી તંત્રને જગાડવા પ્રયાસ કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર નગરપાલિકા સંચાલિત આ બગીચાને 2005માં રિનોવેશન કરીને બાળકો માટે ક્રિડાંગણ બનાવાયું હતું. તે પછી પણ રિનોવેશનના નામે નાનામોટા ખર્ચ કરાયા બાદ યોગ્ય સારસંભાળ અને રિપેરીંગના અભાવે હાલ બગીચો બિસમાર હાલતમાં થઇ ગયો છે. રજાઓમાં બાળકો રમતગમત અને પ્રવૃતિઓ કરતા હોય છે. વડીલો તેમજ મહિલાઓ ચાલવા માટે આવતા હોય છે. પરંતુ બગીચાની હાલત જોઇને તેઓ પાછા ફરી જાય છે. ટાગોરબાગ શહેર મધ્યે આવેલું રમણીય સ્થળ હતું પણ હવે રમતગમતના સાધનો સાવ તૂટેલા અને બિસમાર હોવાથી રમવા યોગ્ય રહ્યા નથી. અહીં હિંચકા બાંધવાના થાભંલા છે પણ હિંચકા નથી. જ્યારે લપસણીઓ તૂટેલી હોવાથી બાળકો લપસે તો ઇજા થવાનો ભય છે. જ્યારે સફાઇના અભાવે પક્ષીઓના ચરકથી બિસમાર ભાસે છે. આ અંગે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બગીચાને ફરીવાર રિનોવેશન કરવામાં આવે તેવી શહેરીજનોમાં માગ ઊઠી છે.