પાકિસ્તાનમાં આતંકીઓનો જમાવડો: જૈશના કમાન્ડરે ગઝવા-એ-હિન્દના નામે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું
નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી 2026: પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીર (PoK) માં ફરી એકવાર આતંકવાદીઓનો મેળાવડો જામ્યો છે, જેણે પાકિસ્તાનના આતંકવાદ વિરોધી દાવાઓની પોલ ખોલી નાખી છે. ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી અને જૈશ-એ-મોહમ્મદનો ટોપ કમાન્ડર મસૂદ ઈલયાસ કાશ્મીરી ઉર્ફે અબુ મોહમ્મદ હથિયારબંધ આતંકીઓ સાથે PoKના રાવલાકોટમાં જાહેર રસ્તા પર દેખાયો હતો. આ દરમિયાન તેણે ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા હતા.
સુંઝવા આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ અબુ મોહમ્મદે રાવલાકોટના સપ્લાય બજાર ચોકમાં જાહેરમાં એલાન કર્યું હતું કે, “પાકિસ્તાન સરકાર જૈશને મદદ કરે કે ન કરે, પણ જૈશ-એ-મોહમ્મદની ઓળખ જ જેહાદ છે અને અમે તે ચાલુ રાખીશું.” તેણે વધુમાં યાદ અપાવ્યું હતું કે, ભારતના ‘ઓપરેશન સિંદૂર’ બાદ જ્યારે બંને દેશો વચ્ચે અથડામણ થઈ હતી, ત્યારે પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરે તેને ‘ગઝવા-એ-હિન્દ’ ગણાવ્યું હતું.
ગુરુવારે (5 ફેબ્રુઆરી) માત્ર PoK જ નહીં, પરંતુ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંત અને સિંઘના નવાબશાહમાં પણ જૈશ-એ-મોહમ્મદ દ્વારા મોટા પાયે રોડ-શો કાઢવામાં આવ્યા હતા. પાકિસ્તાન સરકાર અને એજન્સીઓની રહેમનજર હેઠળ આ આતંકી સંગઠનોએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. બીજી તરફ, લાહોરમાં આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાની રાજકીય પાંખ ‘પાકિસ્તાન મિલી મુસ્લિમ લીગ’ દ્વારા પણ એક જલસો યોજવામાં આવ્યો હતો. જેમાં જમાત-ઉદ-દાવાના પદાધિકારી સૈયદ અબ્દુલ રહેમાન નકવીએ ભારતને ખંડ-ખંડ કરવાની અને દિલ્હીને હચમચાવી દેવાની ધમકી આપી હતી. તેણે ભડકાઉ અંદાજમાં કહ્યું હતું કે, “આગ્રાને સળગાવીશું, ડેક્કનને દેખાડીશું અને દિલ્હીને હચમચાવી નાખીશું.”


