1. Home
  2. ગુજરાતી
  3. આસામ-મેઘાલય વચ્ચે 50 વર્ષથી ચાલતા સીમા વિવાદનો સુખદ ઉકેલ આવ્યો
આસામ-મેઘાલય વચ્ચે 50 વર્ષથી ચાલતા સીમા વિવાદનો સુખદ ઉકેલ આવ્યો

આસામ-મેઘાલય વચ્ચે 50 વર્ષથી ચાલતા સીમા વિવાદનો સુખદ ઉકેલ આવ્યો

0
Social Share

નવી દિલ્હીઃ આસામ અને મેઘાલય વચ્ચે 50 વર્ષથી ચાલી રહેલા સીમા વિવાદનો ઉકેલ આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં બંને રાજ્યોના મુખ્યમંત્રીઓએ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આસામ અને મેઘાલય વચ્ચે સરહદ પર 12 જગ્યાએ વિવાદ ચાલી રહ્યો હતો. પ્રથમ તબક્કામાં 6 વિવાદિત સરહદી સ્થળોનો ઉકેલ લાવવામાં આવ્યો છે, જ્યારે બીજા તબક્કામાં બાકીની 6 જગ્યાઓ પર ટૂંક સમયમાં હસ્તાક્ષર કરવામાં આવશે. અમિત શાહે આ કરારને ઐતિહાસિક ગણાવ્યો છે.

ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું, “આજનો દિવસ વિવાદ મુક્ત પૂર્વોત્તર માટે ઐતિહાસિક દિવસ છે. દેશમાં જ્યારે મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી પૂર્વોત્તરની શાંતિ પ્રક્રિયા, વિકાસ, સમૃદ્ધિ અને અહીંની સાંસ્કૃતિક ધરોહરને સાચવવાના પ્રયાસ કરવામાં આવ્યાં છે.

તેમણે વધુમાં કહ્યું કે, “મને ખુશી છે કે વિવાદના ઉકેલા મુદ્દે આસામ અને મેઘાલય વચ્ચે સમજૂતી થઈ છે. સરહદની લંબાઈના દૃષ્ટિકોણથી, લગભગ 70 ટકા સરહદ વિવાદ મુક્ત બની ગઈ છે. મને ખાતરી છે કે અમે નજીકના ભવિષ્યમાં બાકીની 6 જગ્યાઓ ઉકેલીશું. કરાર બાદ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે આ એમઓયુ પછી અમે બીજા તબક્કાનું કામ શરૂ કરીશું અને આગામી 6-7 મહિનામાં બાકીની 6 વિવાદિત જગ્યાઓનો ઉકેલ લાવવાનો પૂરો પ્રયાસ કરીશું.

સરમાએ કહ્યું, “કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ આસામ અને અરુણાચલ પ્રદેશ વચ્ચેના સરહદ વિવાદને ઉકેલવા વિનંતી કરી હતી. મેં અરુણાચલ પ્રદેશના સીએમ સાથે મીટિંગ કરી હતી જ્યાં અમે 122 વિવાદિત મુદ્દાઓના સમાધાન માટે રોડ મેપ તૈયાર કર્યો હતો. મિઝોરમ અને નાગાલેન્ડના સીએમ સાથે પ્રાથમિક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.” જ્યારે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ કહ્યું કે આગળ વધીને, અમે બાકીની જગ્યાઓ જ્યાં વિવાદો છે તેને ઉકેલવાનો પ્રયાસ કરીશું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code