Site icon Revoi.in

કચ્છમાં નર્મદાની બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડાતા સિંચાઈ માટે પાણીનો પ્રશ્ન હલ થયો

Social Share

ભૂજઃ કચ્છને નર્મદા યોજનાનો લાભ મળ્યા બાદ સુકી ધરા નંદનવન સમી બની ગઈ છે. અને કૃષિ ઉત્પાદનમાં પણ વધારો થયો છે. દોઢ મહિના પહેલા નર્મદાની બ્રાન્ચ કેનાલોને મરામત કરવાની હોવાથી કેનાલોમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું હતું. હવે તમામ બ્રાન્ચ કેનોલોનું મરામતનું કામ પૂર્ણ થઈ જતાં આજથી બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડવામાં આવતા કેનાલો બે કાંઠા બની છે. ઉનાળામાં જ સિંચાઈને લાભ મળતા ખેડૂતોને રાહત થઈ છે.

બનાસકાંઠા અને કચ્છના રાપર તાલુકાના રણ વિસ્તાર સહિતના વિસ્તારોમાં નર્મદાની બ્રાન્ચ કેનાલોનું રિપેરિંગ કાર્ય છેલ્લા દોઢ મહિનાથી હાથ ધરવામાં આવ્યુ હતુ. જે સફળતાપૂર્વક પૂર્ણ થતાં  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુચનાથી કેનાલોમાં પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં આજે સવારે  સલીમગઢથી કેનાલોમાં પાણી છોડવામાં આવ્યુ હતું. કચ્છના દૂર્ગમ વિસ્તારોની બ્રાન્ચ કેનાલમાં ત્રણ-ચાર દિવસમાં પાણી પહોંચશે અને એક સપ્તાહમાં સંપૂર્ણ પ્રવાહ શરૂ થશે.

કચ્છના રાપર શહેરમાં પીવાના પાણીની વ્યવસ્થા માત્ર નર્મદા કેનાલ પર આધારિત છે. મામલતદાર એચ.બી. વાઘેલા, ચીફ ઓફિસર રવાજી જાડેજા અને નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડેની સૂઝબૂઝથી આ વખતે પીવાના પાણીની સમસ્યા ગંભીર બની નથી. હાલમાં રાપર શહેરમાં દર બીજા દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. પીવાના પાણી અને ખેડૂતો માટે આવશ્યક નર્મદાનાં નીર કેનાલમાં વહેતાં થતાં લોકોમાં આનંદની લાગણી છવાઈ છે.