ભારતમાં લોકોની માથાદીઠ આવક વધીને વાર્ષિક 1.97 લાખ થઈ
નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ ભાષણની શરૂઆત કરી અને નાણાકીય વર્ષ 2023-24 માટે સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, વિશ્વએ સ્વીકાર્યું છે કે ભારતીય અર્થતંત્ર એક ચમકતો સિતારો છે. એવું માનવામાં આવે છે કે આપણી અર્થવ્યવસ્થા 7 ટકાના દરે વૃદ્ધિ કરશે, જે વિશ્વના અર્થતંત્રમાં સૌથી વધુ છે. નાણામંત્રીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના લોકોની માથાદીઠ આવક બમણી થઈ છે. માથાદીઠ આવક વાર્ષિક 1.97 લાખ રૂપિયા થઈ ગઈ છે. ભારતીય અર્થતંત્ર પહેલા કરતા વધુ સંગઠિત બન્યું છે. તેની અસર લોકોની જીવનશૈલી પર જોવા મળે છે.
નાણામંત્રીએ કહ્યું કે, દેશની આઝાદીના અમૃતકાળનું આ પ્રથમ બજેટ છે. અમે દરેક વિભાગ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને યુવાનો અને તમામ વર્ગના લોકોને આર્થિક મજબૂતી આપવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. વિશ્વમાં મંદી હોવા છતાં, અમારું વર્તમાન વિકાસ અનુમાન 7 ટકાની આસપાસ છે અને ભારત પડકારજનક સમયમાં ઝડપી વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. વિશ્વભરના લોકોએ ભારતના વિકાસની પ્રશંસા કરી છે અને આ બજેટ આગામી 25 વર્ષ માટેનું બ્લુ પ્રિન્ટ છે. કોવિડ રસીકરણ અભિયાન દેશને એક નવા સ્તરે લઈ ગયો છે અને વિશ્વએ ભારતની શક્તિને ઓળખી છે.
વર્તમાન નાણાકીય વર્ષમાં જીડીપી દર 7 ટકાની આસપાસ રહેવાનો અંદાજ છે. સરકારનું વિશેષ ધ્યાન રોજગારીની તકો વધારવાનો રહેશે.. ભારત તરફથી G20 પ્રમુખપદ એક મોટી તક છે અને તે ભારતની તાકાત દર્શાવે છે.
(Photo-file)