1. Home
  2. ગુજરાતી
  3. ઝંઝાવાતી વાવાઝોડાની વિદાય બાદ હવે વૈશાખી ગરમીનો પ્રકોપ શરૂ થશે

ઝંઝાવાતી વાવાઝોડાની વિદાય બાદ હવે વૈશાખી ગરમીનો પ્રકોપ શરૂ થશે

0
Social Share

અમદાવાદઃ  તાઉ- તે વાવાઝોડાની વિદાય બાદ અમદાવાદ સહિત રાજ્યમાં ફુંકાયેલા ભારે પવનો અને વરસાદને કારણે મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો થયો હતો. અમદાવાદનાં મહત્તમ તાપમાનમાં 10 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડકમાં વધારો થયો હતો. જો કે, બે દિવસ વાદળિયું વાતાવરણ રહ્યાં બાદ હવે અમદાવાદ સહિત રાજ્યમાં ગરમી વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

રાજ્યમાં દર વર્ષે  વૈશાખ મહિનાની ગરમી તોબા પોકરાવતી હોય છે. આ વખતે ગરમીનો પારો વધી રહ્યો હતો ત્યાં જ તાઉ-તે વાવાઝોડાને લીધે વાતાવરણમાં પલટો આવ્યો અને કમોસમી વરસાદ પડતા ગરમીમાં ઘટાડો થયો હતો. હવે વાવાઝોડાની વિદાય બાદ ગરમીમાં ક્રમશઃ વધારો થશે.  હવામાન વિભાગે આગાહી કરી છે કે, 21 મે બાદ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ફરી ગરમી વધવાની સંભાવના છે. અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારોમાં 5 ડિગ્રીની આસપાસ ગરમીનો પારો વધી શકે છે.

વાદળછાયા વાતાવરણ બાદ ગરમી શરૂ થતા ઉકળાટથી લોકો પરેશાન થશે. હાલ હવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી બફારો પણ વધ્યો છે. અને આવતી કાલથી તાપમાનમાં ક્રમશઃ વધારો થશે. એકાએક ગરમી વધતા રોગચાળો ફેલાવવાની દહેશત છે. વાવાઝોડામાં ઘણાબધા ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. વીજ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે  વીજ પુરવઠો રાબેતા મુજબ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. પણ ઘણા ગામડાંમાં વીજ પોલ ધરાશાયી થયા હોવાથી હજુ વીજ પુરવઠો ચાલુ કરી શકાયો નથી. આથી ગરમી વધતા ગામડાઓમાં લોકોને પંખા અને એસી વિના જ રહેવું પડશે. વીજ પુરવઠો ખોરવાયેલો હોવાથી લોકો પોતાનો મોબાઈલ ફોન પણ ચાર્જ કરી શકતા નથી. જોકે બે-ત્રણ દિવસમાં સ્થિતિ રાબેતા મુજબ થઈ જશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code