1. Home
  2. ગુજરાતી
  3. રાજકોટના આજી ડેમમાં 30 દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો, જરૂર પડ્યે નર્મદાના પાણીથી ડેમ ભરાશે

રાજકોટના આજી ડેમમાં 30 દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો, જરૂર પડ્યે નર્મદાના પાણીથી ડેમ ભરાશે

0
Social Share

રાજકોટઃ શહેરમાં વરસાદે વિરામ લેતાં બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ચોમાસાની સારી જમાવટ થયા બાદ અચાનક વરસાદે વિરામ લેતાં ગરમી અને બફારાનું પ્રમાણ વધી ગયું છે. હાલ જૂલાઈ શરૂ થવા છતાં વરસાદના એંધાણ ન વર્તાતા આજી અને ન્યારી ડેમની સપાટી ધીરે-ધીરે ઘટી રહી છે. અને હાલ માત્ર 30 દિવસ ચાલે તેટલો જથ્થો ઉપલબ્ધ છે. ત્યારે જો સમયસર વરસાદ ન આવે તો શહેરમાં પણ પીવાના પાણીની મુશ્કેલી ઉભી થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. આ અંગે મેયર ડો.પ્રદીપ ડવે નિવેદન આપતા જણાવ્યું હતું કે, હાલ શહેરનાં મુખ્ય જળાશયોમાં ઓગષ્ટ મહિના સુધી ચાલે તેટલું પાણી છે. અને જરૂર પડ્યે સૌની યોજના હેઠળ ડેમો ભરી આપવામાં આવશે.

રાજકોટના મેયરે વધુમાં  જણાવ્યું હતું કે, અગાઉ શહેર માત્ર વરસાદ આધારિત હતું. પરંતુ વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં પ્રયાસોને કારણે સૌની યોજના શરૂ થયા બાદ પાણીની મુશ્કેલી ભૂતકાળ બની ચુકી છે.  હાલ આજી ન્યારી અને ભાદર ડેમમાં તેની કુલ ક્ષમતાનાં 50 ટકા પાણી છે. જેને કારણે ઓગષ્ટ મહિના સુધી પાણીની તંગી સર્જાય તેવી કોઈ શક્યતા નથી. તેમજ નર્મદાનું પાણી પણ મળતું હોવાથી પાણીકાપ મુકવો પડે તેવો સવાલ જ નથી. છેલ્લે એપ્રિલ મહિનામાં સૌની યોજના દ્વારા આજી અને ન્યારી ડેમ ભરાયા હતા. અને જરૂર પડ્યે ફરીથી આ ડેમો ભરવાની તૈયારી પણ તેમણે દર્શાવી છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટવાસીઓના માથે પાણીનું સંકટ ઘેરાયુ રહ્યું છે, શહેરમાં અનેક વિસ્તારોને પાણી પુરૂ પાડતો આજી ડેમમાં માત્ર 30 દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો છે. હાલ આજી ડેમમાં ટોટલ 15.5 ફૂટ પાણીનો જથ્થો છે. જેમાંથી દરરોજ 120 એમ.સી.એફ.ટી પાણીનો ઉપાડ થાય છે. હાલ પંપહાઉસ ઉપર પાણીનો જથ્થો હોવાથી પૂરતા ફોર્સથી પાણી મળી રહે છે પરંતુ આવતા દિવસોમાં જ્યારે પાણીનું લેવલ પંપહાઉસ નીચે આવશે ત્યારે પાણી ઓછા ફોર્સથી મળે તેવી સમસ્યા પણ ઊભી થઈ શકે છે. જેના કારણે આગમની દિવસોમાં શહેરીજનોને પાણીકાપની સમસ્યાનો સામનો કરવો પડે તેવી શક્યતા વર્તાઈ રહી છે .

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code