આર્થિક સંકટ અને ઈસ્લામિક રાષ્ટ્રોની શીખ ભુલીને શરીફ સરકારે ફરીથી કાશ્મીર રાગ આલોપ્યો
નવી દિલ્હીઃ આર્થિક સંકટમાંથી બહાર નીકળી રહેલુ પાકિસ્તાન મદદ માટે દુનિયાના વિવિધ દેશો પાસે મદદ માંગી રહ્યું છે, એટલું જ નહીં તાજેતરમાં યુએઈએ પાકિસ્તાને શીખામણ આપી હતી કે, કાશ્મીરને ભુલીને ભારત સાથે મિત્રતા કરી લો. ઈસ્લામિક રાષ્ટ્રોની શીખામણ અને પ્રજાની મુશ્કેલીઓને ભુલીને પાકિસ્તાની સરકાર કાશ્મીરનો જ રાગ આલોપી રહ્યાં છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે તંગડી ઉંચી રાખતા કહ્યું કે, ઘરમાં દાણો ન હોય તો પણ ચાલશે પણ તે માટે કાશ્મીર મુદે સમાધાન નહી કરીએ. હાલમાં જ ભારતને મદદ માટે કઈ રીતે કહેવું અમને તો શરમ આવે છે. શાહબાઝ શરીફે તા.5 ફેબ્રુ.ના કાશ્મીર એકતા દિવસ મનાવવાની પ્રજાને અપીલ કરી હોવાનું જાણવા મળે છે.
સ્થાનિક મીડીયા રિપોર્ટ મુજબ પાકિસ્તાન કાશ્મીર એકતા દિવસ મનાવશે અને તે રીતે તેના ગેરકાનુની કબ્જાના કાશ્મીરને પોતાનો પ્રદેશ ગણાવવાની ચેષ્ટા કરશે. આર્થિક રીતે બરબાદ થઈ ગયેલા પાકિસ્તાન હજુ પણ ભારત સામે તેના દુષ્પ્રચાર માટે જંગી ભંડોળ ફાળવી રહ્યું છે. સ્થાનિક મિડીયાના રીપોર્ટ મુજબ પાકિસ્તાન સરકારે આવતીકાલે કાશ્મીર એકતા દિવસ મનાવવા માટે ઠેરઠેર હોર્ડીંગ્સ મુકયા છે અને કાશ્મીર પાકિસ્તાનનું હોવાનો દાવો કરે છે. પરંતુ બીજી બાજુ પાક.કબ્જામાં કાશ્મીરમાં પાકિસ્તાની સરકાર સામે જ જબરો વિરોધ છે અને આવતીકાલે પાકિસ્તાન સામે અનેક મોરચાઓ પાક કબ્જાના કાશ્મીરમાં નીકળશે અને તેને રોકવા માટે પણ સુરક્ષા દળોને જણાવાયું છે.